Ahmedabad News : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14 માર્ચ, 2024ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડો. વૈશાલી જોષીના આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ત્યારબાદથી આ પોલીસ અધિકારી ફરાર છે. ત્યારે બે મહિનાથી ફરાર આરોપી PI બી.કે.ખાચરની બે મહિનાથી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરાની જામીન અરજીને ફગાવી દીધી છે. આજે 10મી મુદત હતી.
ખાચરે આગોતરા જામીન મેળવવા 16 માર્ચે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં એડવોકેટ એસ.વી ઠક્કર મારફતે અરજી દાખલ કરી છે. જેની ઉપર પ્રથમ સુનાવણી 10 માર્ચે હાથ ધરાઇ હતી. જે બાદ અનુક્રમે 10 મુદતો પડી હતી. આજે આ અરજી ઉપર ચુકાદો આપતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા હતા. હવે આરોપી પોલીસ સમક્ષ ઉપસ્થિત થશે અથવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરશે.
આ અધિકારીએ આગોતરા જામીન મેળવવા 16 માર્ચે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં એડવોકેટ એસ.વી ઠક્કર મારફતે અરજી દાખલ કરી છે. જેની ઉપર પ્રથમ સુનાવણી 10 માર્ચે હાથ ધરાઇ હતી. જે બાદ અનુક્રમે 27 માર્ચ, 2 એપ્રિલ, 9 એપ્રિલ, 16 એપ્રિલ, 23 એપ્રિલ, 02 મે, 6 મે, 13 મે અને આજે 14 મે એમ અરજદારના વકીલની રજૂઆતો અને ત્યારબાદ આગોતરા જમીનના વિરોધમાં સરકારી વકીલે રજૂઆતો કરી હતી.
અરજદાર તરફે જણાવાયું હતું કે, અરજદારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આગોતરા જામીન માટે અરજદાર કોર્ટની તમામ શરતો પાળશે. પુરાવા સાથે ચેડાં નહીં કરે અને તપાસમાં સહકાર આપશે. અરજદારની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. અરજદાર પોલીસ ખાતામાં 14 વર્ષથી ફરજ બજાવે છે. અરજદારે મૃતકની ભાવનાને કોઈ ઠેસ પહોંચાડી નથી. સુસાઇડ નોટના હસ્તાક્ષરની ખરાઈ સુનિશ્ચિત થઈ નથી.
આ કેસ સંદર્ભે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં આરોપીના જામીનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, FIRમાં આરોપીનું નામ અગાઉથી જ છે. આરોપીનો આ ઘટના પાછળ સક્રિય રોલ છે. આરોપીએ મૃતક સાથે પ્રેમ સંબંધ રાખીને તોડી નાંખ્યો હતો. આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં, આ કેસમાં હજુ તપાસ હજુ પ્રાથમિક તબક્કે છે.
આરોપી પોલીસ સમક્ષ હાજર થયો નથી, સુસાઈડ નોટમાં આરોપીનું નામ છે. આરોપી હાજર થયે હકીકત બહાર આવી શકે. આગોતરા જામીનમાં પૂરાવા મૂલ્યાંકનનો અવકાશ રહેતો નથી. આરોપીને જામીન મળતા તપાસને અસર થઈ શકે છે. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો આપતાં સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને તેને ચુકાદામાં નોંધીને અરજદારની અરજી નકારી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે, 32 વર્ષીય મહિલા ડોક્ટર મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદના સેટેલાઈટમાં પેઈંગ ગેસ્ટ (PG)માં રહીને નવાવાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે મૂકેલા બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો હતો. તેમજ સુસાઇડ નોટ મૂકી હતી.
મૃતકની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14 માર્ચ, 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારી બીકે ખાચર સાથે ફરિયાદીની બહેનને પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ પોલીસ અધિકારીએ તોડી નાખતા તે માનસિક તણાવમાં રહેતી હતી. તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસ PI ખાચરને હજી સુધી પકડી શકી નથી.
આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા
આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ