Aandhra Pradesh News/ આંધ્રપ્રદેશમાં કોરોનાથી 4 વર્ષ બાદ બે મોત, 8 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

આંધ્રપ્રદેશમાં છેલ્લા ચાર વર્ષ બાદ કોરોના (Covid-19 Andhra Pradesh)થી બે લોકોના મોત નોંધાયા છે, જ્યારે 8 નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગે દેખરેખ વધારી છે. નવા વેરિઅન્ટની શક્યતા તપાસવા માટે સેમ્પલ NIV પુણે મોકલવામાં આવ્યા છે.

Top Stories India Breaking News
Covid-19 Andhra Pradesh: કોરોનાની ફરી દસ્તક? આંધ્રપ્રદેશમાં 4 વર્ષ બાદ બે મોત

Andhra Pradesh News: આંધ્રપ્રદેશમાં કોવિડ-19ને લઈને ફરી એકવાર ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત કોરોના (Covid-19 Andhra Pradesh)ના કારણે બે લોકોના મોત નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં 8 નવા કોરોના કેસ પણ સામે આવ્યા છે. જોકે, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિને કોઈ નવી લહેર અથવા મોટા પ્રકોપ તરીકે જોવાની જરૂર નથી અને તમામ કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, કડપા જિલ્લામાં પાંચ કેસ નોંધાયા હતા, જ્યારે બાકીના ત્રણ દર્દીઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ કોરોના (Covid-19 Andhra Pradesh) પોઝિટિવ થયા હતા. તમામ દર્દીઓને હોમ આઇસોલેશન અથવા વિશેષ કોવિડ વોર્ડમાં રાખીને સારવાર અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Covid-19 Andhra Pradesh: બે દર્દીઓના મોત કેવી રીતે થયા?

પ્રથમ કેસ

પ્રથમ મૃત્યુ કડપા જિલ્લાના રાજમપેટના 60 વર્ષીય વ્યક્તિનું થયું હતું. તેઓ અગાઉથી અનિયંત્રિત ડાયાબિટીસ અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા. શરૂઆતમાં તેમને તિરુપતિની SVIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે વેલ્લોરની CMC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 28 જૂને તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ થયેલા RT-PCR ટેસ્ટમાં તેઓ કોરોના (Covid-19 Andhra Pradesh) સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

બીજો કેસ

બીજો મૃત્યુ કડપા શહેરના 46 વર્ષીય વ્યક્તિનું થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ બાદ RIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CT સ્કેનમાં બંને ફેફસાંને ગંભીર નુકસાન અને ન્યુમોનિયા હોવાનું સામે આવ્યું હતું. સારવાર દરમિયાન 7 જુલાઈએ તેમનું મોત થયું હતું.

આરોગ્ય વિભાગે શું પગલાં લીધાં?

આરોગ્ય સચિવ એસ. સુરેશ કુમારના જણાવ્યા મુજબ, તમામ સંક્રમિત દર્દીઓની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ મૃતકો અને અન્ય દર્દીઓના ગળા અને નાકના સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવ્યા છે, જેથી કોઈ નવા અથવા વધુ આક્રમક ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી છે કે નહીં તેની તપાસ થઈ શકે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે પાંચ નિષ્ણાતોની સમિતિએ પ્રાથમિક તપાસમાં કોઈ નવા ઘાતક વેરિઅન્ટના પુરાવા મળ્યા નથી.

પડોશી રાજ્યો પણ એલર્ટ

આંધ્રપ્રદેશમાં કેસો સામે આવ્યા બાદ ઓડિશાએ પોતાના સરહદી જિલ્લાઓમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ તમિલનાડુ સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ ગંભીર નવા વેરિઅન્ટના પુરાવા નથી અને હાલની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

શું ગભરાવાની જરૂર છે?

આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોઈ નવો કોરોના (Covid-19 Andhra Pradesh) કેસ નોંધાયો નથી. હાલની સ્થિતિને છૂટાછવાયા કેસ તરીકે જોવામાં આવી રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ હાલ મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળે છે. તેમ છતાં વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, ગંભીર બીમારીઓથી પીડિત લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.


આ પણ વાંચો:ભારતમાં ફરી કોરોનાની દસ્તક? આંધ્રના કડપ્પામાં 8 એક્ટિવ કેસ, 2ના મોત બાદ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ

આ પણ વાંચો:તુલસી ગબાર્ડનો મોટો દાવો: કોરોના રિસર્ચ માટે વુહાન લેબને મળ્યા હતા લાખો ડોલર

આ પણ વાંચો:ગાંધીનગરમાં ફરી કોરોનાને કારણે ભયનો માહોલ