જુન જુલાઈ એટલે ચોમાસાની સીઝન હોય છે અને આ સીઝન માં મચ્છર જાન્ય રોગોનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ જિલ્લા વિસ્તારની વાત કરીએ તો હાલમાં એકપણ મેલેરિયા કે ડેન્ગ્યું નો કેસ નોંધાયો નથી. તો બીજી તરફ લોકો પણ મચ્છરના પોરા હટાવવાની કામગીરીના કારણે તંત્રએ મેલેરિયા ડેન્ગ્યું પર કંટ્રોલ કરવામાં સફળ થયું છે.
તંત્રએ ડેન્ગ્યુ કન્ટ્રોલ કરવામાં સફળ
જુન માસમાં મેલેરિયા અને જુલાઈ માસમાં ડેન્ગ્યું ના કેસમાં અચાનક ઉછાળો આવતો હોય છે પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. હાલમાં અમદાવાદ જીલ્લા વિસ્તારમાં ડેન્ગ્યું કે મેલેરિયા નો એક પણ કેસ નથી તેની પાછળ તંત્રની મહેનત સાથે જ લોકોનો સહકાર હોવાના કારણે આ શક્ય બન્યું છે. થોડા સમય અગાઉ કોરોનાના કેસ વધારે હતા એવામાં એ આશંકા હતી કે જો જુન જુલાઈ માં મચ્છર જાન્ય રોગોનું પ્રમાણ વધારે હોય તો ચોક્કસ માંદગીની સંખ્યામાં વધારો થાય પરંતુ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે કામગીરી કરવામાં આવે છે જેથી મચ્છર જન્ય રોગોનું પ્રમાણ ખુબ ઓછુ છે. જેમાં દવાનો છંટકાવ કરવો સાથે જ લોકોમાં જાગૃતતા આવે તેના માટે કામગીરી પણ કરવામાં આવે છે જે સ્થળ પર વેક્સીનેસણ કરવામાં આવે છે ત્યાં પણ લોકોને આ અંગે માહિતી આપવામાં આવે છે જેથી મચ્છર નું બ્રીડીંગ અટકાવી શકાય.
એક સર્વેમાં સામે આવ્યું હતું કે મચ્છરનું બ્રીડીંગ સૌથી વધારે ટાયરમાં જોવા મળે છે. જો ટાયરમાં પાણી ભરેલા હોય તો તેમાં મચ્છરનું બ્રીડીંગ હોય તો તેમાં મચ્છરની સંખ્યામાં વધારો થાય છે. જેથી આવા તમામ સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવે છે. સાથે જ જો કોઈ સ્થળ પર બ્રીડીંગ મળી આવે તો નોટીસ આપવામાં આવે છે. આમ જીલ્લા વિસ્તારમાં પ્રથમ વખતની તપાસમાં ૩૭૫ નોટીસ ફટકારવામાં આવી હતી. તો બીજા રાઉન્ડ દરમિયાન તે પૈકીના માત્ર ૧૩ લોકો જ હતા. જે સ્વચ્છતા નહોતા રાખતા, જેથી તેમને નોટીસ આપી હતી. આમ સઘન કામગીરીના કારણે સફળતા મળી રહી છે.
જીલ્લા વિસ્તારમાં ગત જાન્યુઆરી માસથી જો વાત કરીએ તો ડેન્ગ્યું અને મેલેરિયા નો માત્ર ૧-૧ કેસ જ નોંધાયો છે. જયારે સૌથી વધારે ચોમાસમાં મચ્છર થતા હોય છે એ સીઝન માં પણ એકપણ કેસ નવો નથી આવ્યો. જેથી તંત્રે હાશકારો અનુભવ્યો છે. એક તરફ કોરોના બીજી તરફ જો મચ્છર જન્યરોગ વધે તો વહીવટી તંત્રને વ્યવસ્થા ઉભી કરવી આકરી બની જાય છે ત્યારે હાલમાં મેલેરિયા ડેન્ગ્યુંના કેસ નહીવત છે એ સારી બાબત છે