Ahmedabad News : અમદાવાદમાં આવેલી રાજસ્થાન સ્કૂલમાં એડમિશન બાબતે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. જેમાં સ્કૂલ દ્વારા ધોરણ-9 માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મ આપવામાં આવતા નથી., જેને કારણે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.
બીજીતરફ સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે ડીઈઓ કચેરીમાંથી તેમને કોઈ લેખિત આદેશ મળ્યો નથી. તે સિવાય અમારી સ્કૂલમાં શિક્ષકોની અછત હોવાથી અમે પ્રવેશ આપતા નથી.
શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલમાં ધો-9માં હિન્દી માધ્યમમાં પ્રવેશ ન અપાતા વાલીઓએ ડીઈઓને જાણ કરી હતી. જેમાં ડીઈઓ દ્વારા સ્કૂલને બંધ ન કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા જણાવાયું હતું. તેમછતા સ્કૂલ દ્વારા ડીઈઓના આદેશોનું ઉલ્લંઘન કરી પ્રવેશ અપાયો નથી. વાલીઓને ધક્કા ખવડાવાય છે અને પ્રવેશ માટેનું ફોર્મ પણ આપવામાં આવતું નથી.
સ્કૂલના સંચાલક દીપચંદ બાફરાનું કહેવું છે કે ધો-9 માં નવેસરથી પ્રવેશ આપવાનો હોય છે. હાલમાં સ્કૂલમાં 9માંથી 8 શિક્ષકોની ઘટ છે. શિક્ષક ન હોય તો વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ ન આપી શકાય. અમે ટ્રસ્ટના ફંડમાંથી શિક્ષકોને પૈસા ચુકવીએ છીએ. ડીઈઓને અમે અનેક પત્ર લખ્યા છે પરંતુ તેનો જવાબ મળતો નથી.
બીજીતરફ ડીઈઓ જ્વારા કહેવામાં આવે છે કે સ્કૂલને નોટીસ આપવામાં આવી હતી અને હવે સ્કૂલ એડમિશન ન આપે તો કડક પગલા લેવાશે.
એક વાલીનું કહેવું છે કે થોડા દિવસ પહેલા અમે સ્કૂલમાં આવ્યા ત્યારે એલસી આપી દેવાયું હતું અને ધો-9 બંધ કરવાનું કહ્યું હતું. ધો.10થી 12 માટે શિક્ષકો છો પરંતુ ધો-9 માટે જ શિક્ષકો નથી.
ડીઈઓ રોહીત ચૌધરીના જણાવ્યા મુજબ સ્કૂલને અગાઉ નોટીસ આપી જ હતી તેમછતા સ્કૂલ એડમિશન ન આપે તે ચલાવી લેવાશે નહી. સ્કૂલને મૌખિક જાણ કરાઈ છે. સોમવારથી સ્કૂલ દ્વારા એડમિશન માટેના ફોર્મ આપવામાં આવશે.
