ભારતીય ક્રિકેટ ટીમ યુએઈમાં રમાઈ રહેલી ટી ટ્વેન્ટી ટૂર્નામેટમાં સતત બીજી મેચ હારતા હવે સેમી ફાઈનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની ગઈ છે. હજી ત્રણ મેચ રમવાની બાકી છે. પણ આ ત્રણેય મેચ જીતે તો પણ સેમીફાઈનલમાં પ્રવેશવાનો આધાર તો બીજી ટીમોની ભારતને ફાયદો થાય તેવી હારજીત પર છે. અત્યારે ભારતના ગ્રુપમાં સતત ત્રણ જીત સાથે પાકિસ્તાન પહેલા નંબરે છે. બીજા નંબર માટે ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશો કે જે ભારત કરતાં ઘણા આગળ છે તે દાવેદાર છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે પ્રથમ વખત આ પ્રકારની ટૂર્નામેન્ટમાં હારી ત્યારે દેશભરના ક્રિકેટ શોખીનોમાં આક્રોશ સાથે દુઃખનું મોજું ફેલાઈ ગયું હતું. જ્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમે ફરી એકવાર બોલીંગ અને બેટીંગમાં જે દેખાવ કર્યો તેના પરથી રમત વિવેચકો કહે છે કે સામી ટીમના બોલરોને ગંભીરતાથી લીધા વગર એટલે કે પાકિસ્તાનના શાહીદ આફ્રિદી કે ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ કે સાઉધી કે ન્યૂઝીલેન્ડ સ્પીનર સોઢી કે અન્ય બોલરોની બોલીંગ સામે કઈ રીતે રમવું તેનો અભ્યાસ કર્યા વગર ગઈ હતી.
ભારતના સુકાની વિરાટ કોહલીએ સતત પાંચમી ઈન્ટરનેશનલ મેચમાં ટોસ હારવાનો સીલસીલો જાળવી રાખ્યો હતો. દુબઈની પીચ એવી છે કે જેમાં પ્રથમ દાવ લેનાર ટીમ સાવધાની રાખીને ન રમે અને લાંબા લોફ્ટેડ શોર્ટ મારવાનો પ્રયાસ કરે તો આઉટ થઈ જવાનો ભય સતત છે. ભારતે પ્રથમ ઓવરમાં ઓપનીંગ જાેડી બદલી કે.એલ. રાહુલની સાથે ઈશાન કિશન આવ્યો પરંતુ એ પણ ન ચાલ્યો. ૧૩ વર્ષ બાદ રોહિત શર્મા ઓપનર તરીકે ન આવ્યો પછી દાવ આવ્યો તો પણ ફ્લોપ ગયો.
રોહિત શર્મા રાહુલ, કિશન, કોહલી, હાર્દિક પંડયા સહિત મોટાભાગના ખેલાડીઓ જે રીતે આઉટ થયા તેના પરથી કોમેન્ટેટરોને પણ ટકોર કરવી પડી કે પીચ કે દડાને સમજ્યા વગર કોઈ શીખાઉ ખેલાડી અનુભવી બોલર સામે માત્ર બેટ વીંઝવા માટે રમતા હોય તેવી જ રીતે બેટીંગ કરી. દુબઈની પીચ એવી છે કે જ્યાં દડો ટપ્પો પડ્યા બાદ બેટ પર રોકાઈને આવે છે. મોટાભાગે દડો ધીમો પડી જાય છે. તેથી તેમાં લોફટેડ શોર્ટ મારવા માટે બેટ ઝડપથી ઘુમાવો તો કાં ટાઈમીંગ ગુમાવવું પડે છે અને તેથી દડો બાઉન્ડ્રી ક્રોસ કરવાને બદલે અંદર જ હવામાં ઉછળે છે. તેથી કેચ થઈ જવાય અથવા તો અમૂક કિસ્સામાં લેગ બી ફોર વિકેટ કે બોલ્ડ પણ થઈ જવાય છે. પાવર પ્લેમાં માત્ર બે જ ખેલાડી દૂરહતા. છતાં ભારતના ત્રણ ખેલાડી માત્ર ૩૬ રનમાં આઉટ થયા. ત્રણેયે કેચ જ અંબાવી દીધા હતાં. કે.એલ. રાહુલ, ઈશાન કિશન અને જે સદાબહાર કે હીટ મેનની છાપ ધરાવે છે પણ તે પ્રારંભમાં સંભાળીને રમે છે તે રોહિત શર્મા પ્રારંભથી જ લોફ્ટેડ શોર્ટના ચક્કરમાં ફસાયો. એકવાર તો તેને જીવતદાન પણ મળ્યું. પરંતુ બીજીવાર તો આઉટ થઈ ગયો. સુકાની વિરાટ કોહલી કે જેણે પોતાની વિશિષ્ટ શૈલી સાથે પાકિસ્તાની બોલરોનો સામનો કર્યો હતો અને ૫૭ રન કર્યા હતા. તે આ વખતે લોફ્ટેડ શોર્ટ મારવાની લાલચ ન રોકી શક્યો. ૭૦ રમાં ભારતની અર્ધી ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા ૨૬ અને હાર્દિક પંડયા ૨૩ સિવાય કોઈ બેટધર ટકી ન શક્યા. પછી રનની ઝડપ તો ક્યાંથી વધવાની હતી. ન્યુઝીલેન્ડે ભારતે આપેલો લક્ષ્યાંક ૧૫મી ઓવરમાં પૂરો કરી વિજય મેળવ્યો. બુમરાહને બે વિકેટ મળી. લાંબા સમય બાદ બોલીંગ કરવા આવેલો હાર્દિક પંડયા ખર્ચાળ સાબિત થયો. બે ઓવરમાં ૧૭ રન આપી દીધા.
સતત બે મેચમાં હાર બાદ ટીમ કોહલી પોઈન્ટ ટેબલમાં પોતાના ગ્રુપમાં છેલ્લા નંબરે છે. જીત વગર પોઈટ ક્યાંથી મળવાના હતા. હવે તો બાકીની મેચો છે તે જીતે તો છ પોઈન્ટ થાય અને સારા રનરેટથી આ મેચો જીતવી પડે અને સામે પક્ષે બીજા સ્થાન માટે ન્યુઝીલેન્ડ સહિતની જે બે ટીમો દાવેદાર છે તે સતત હારતી રહે અને તેનો રનરેટ પણ ઓછો રહે તો જ સેમીફાઈનલમાં પહોંચી શકે તેમ છે. ટૂંકમાં ફટાફટ ક્રિકેટની પ્રથમ ટૂર્નામેન્ટની ચેમ્પિયન ટીમ વધુ એકવાર જાે અને તો ના ગણિતમાં ફસાઈ ગઈ છે.
સતત બે મેચમાં ભારતના પરાજય બાદ ટીમ કોહલી પર ટીકાઓનો વરસાદ વરસ્યો છે. એક રમત શોખીને તો એવું ટ્વીટ કર્યું છે કે ભારત હાર્યુ નથી પરંતુ કરારમાં મસમોટી રકમ અને મેચ રમવા માટે મોટું વળતર મેળવનારા અને જાહેરખબરના માધ્યમથી લાખો રૂપિયાની કમાણી કરનારા ખેલાડીઓ હાર્યા છે. બીજા એક ક્રિકેટ શોખીને એવી ટીખળ કરી છે કે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા આપણા યુવાનો (છોકરાઓ) કમસે કમ ઘરભેગા તો થઈ જશે !! એક ક્રિકેટ શોખીને એવી ટકોર કરી કે હોમવર્ક કર્યા વગર વર્ગમાં જનારા વિદ્યાર્થી જેવી દશા થઈ છે. અન્ય એક ક્રિકેટ શોખીન કહે છે કે રાજકારણમાં કોંગ્રેસની જેમ ભારતીય ક્રિકેટ ટીમને હારવાની ટેવ તો નહિ પડી જાય ને ? એક ટીખળબાજે ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી પણ પછી અપવાદ બાદ કરતા દરેક ચૂંટણી કોંગ્રેસ હારે જ છે તેમ કોહલીએ ૨૦૧૯ અને ૨૦૨૦માં ઘણી મેચ સિરીઝ જીતી હવે હારવાનો સીલસીલો શરૂ થયો કે શું ?
જાે કે હારનાર ટીમ પર પસ્તાળ પડે તેમાં નવું નથી અને તેમાંય હવે જો અને તો જેવા વાતાવરણમાં ટીમ આવી જાય ત્યારે તો બીજું બાકી શું રહે ? તેવો પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક બાબત છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. બાકી આમ તો ટેક્નીકલી રીતે અને અત્યારના આંકડાકીય ગણિત પ્રમાણે સેમિફાઈનલમાં પહોંચવા પોતાના સારા દેખાવ સાથે બે નંબરની દાવેદાર ટીમની સતત હાર પર જ ભારતના સેમીફાઈનલ પ્રવેશનો આધાર છે. બાકી ભારતે પાકિસ્તાન સામે જીતવાનો સીલસીલો તોડ્યો અને ન્યુઝીલેન્ડ સામે હારવાની પરંપરા જાળવી.
સાવધાન! / સાયબર ફ્રોડ પણ તહેવારો ઉજવી રહ્યા છે, લોટરી અને ગિફ્ટની લિંક મોકલીને તમારા બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે…