(ફાઈલ તસવીર)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવે છે. તેમણે તેઓના કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દિવ્યાંગોને માટે અનેક યોજનાઓ અમલમાં લાવી અને વિક્રમ સર્જ્યો છે. મુખ્યમંત્રી સમાજના છેવાડાના વર્ગનાને લાભ અપાવવા માટે સક્રિય છે. આ શ્રેણીમાં આજે વધુ એક દિવ્યાંગો માટેના કાર્યક્રમમાં તેઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેવાના છે.આજે રવિવારે જામનગરમાં દિવ્યાંગોને સહાયક બનતા સાધનોનું વિતરણ કરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ હાજરી આપશે. ઉપરાંત મુખ્યમંત્રી સામાજિક અધિકારિતા શિબિરને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે.૭૫મા ભારત અમૃત મહોત્સવના ઉપક્રમે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સવારે ૧૧.૩૦ કલાકે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે સામાજિક અધિકારિતા શિબિર અને દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત જોડાશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના સામાજિક ન્યાય મંત્રી ઇશ્વરભાઇ પરમાર, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ તેમજ પદાધિકારી- અધિકારીઓ સહિત લાભાર્થી દિવ્યાંગજનો ઉપસ્થિત રહેશે.