Bhavnagar News : ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે બેંકની ભરતી પ્રક્રિયામાં સગાવાદ અને લાગતાવળગતા લોકોને નોકરીઓ આપવામાં આવી છે. તેમણે આક્ષેપ સાથે કેટલાક નામોનું લિસ્ટ પણ રજૂ કર્યું છે, જેમાં બેંકના ડિરેક્ટરો અને અમલદારોના ભાઈ, ભત્રીજા અને ભાણિયાઓનો સમાવેશ થાય છે.
આ મામલે યુવરાજસિંહે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું છે અને સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે ભરતી પરીક્ષા પદ્ધતિમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે. તેમણે આ અંગે લેખિત પુરાવાઓ પણ રજૂ કર્યા છે.
ભલામણ અને લાગવગથી નોકરી મેળવનાર ઉમેદવારો (યુવરાજસિંહે આપેલી યાદી)
- મિતુલ કાંતિલાલ ધાંધલા (ડાયરેક્ટરના દીકરા)
- સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા (ડાયરેક્ટરના દીકરા)
- શિવદતસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ (ડાયરેક્ટરના ભત્રીજાના દીકરા)
- ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા (જનરલ મેનેજરના ભત્રીજા)
- પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા (જનરલ મેનેજરના ભત્રીજા)
- જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (જૂના યુનિયન પ્રમુખના ભત્રીજા જેને આર.ડી સરવૈયાને જીએમ બનાવવામાં મદદ કરી)
- હરપાલ ભરતભાઈ ખાચર (સ્ટાફના છોકરા, જીએમના અગત સંબંધી)
- જયતુભાઈ માયકાના દીકરા (સ્ટાફના છોકરા જીએમના અંગત સંબંધી)
- હાર્દિક રાજુભાઈ મેર (સ્ટાફના છોકરો, જીએમના અંગત સંબંધી)
- ધનરાજ જયેશભાઈ ભટ્ટ (ડાયરેક્ટરના મંડળીના મંત્રીના દીકરા)
- બ્રિજરાજસિંહ વેગડ (ડાયરેક્ટરના સંબંધી)
- હર્ષિલ સતિષભાઈ મહેતા (સાવરકુંડલા ડાયરેક્ટરના અંગત)
- રઘુભાઈ હુંબલના ભત્રીજા અને અન્ય સંબંધીઓ
યુવરાજસિંહે આ મામલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. તેમણે બે દિવસ પહેલાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બેંકમાં થયેલી 80 જેટલી નિમણૂકોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે અગાઉ જે નામો આપવામાં આવ્યા હતા, તેઓને જ નિમણૂક આપવામાં આવી છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં બે ડિરેક્ટરના પુત્રો, એક જનરલ મેનેજરનો ભત્રીજો, એક ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી આપવામાં આવી છે.
વધુમાં, યુવરાજસિંહે સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે આન્સર-કીમાં એક જ સિક્વન્સના ABCD, ABCD જવાબો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, બે મહિના પહેલાં લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ અનિયમિતતા જોવા મળી હતી, જે અંગે આરોગ્ય મંત્રીએ તપાસ કમિટી બનાવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.
યુવરાજસિંહે માંગણી કરી છે કે તમામ સહકારી સંસ્થાઓની ભરતી પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્ડ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નિમણૂક પામેલા લોકોની તપાસ કરવામાં આવે. તેમણે GSRTCમાં પણ ગેરરીતિઓ થઈ રહી હોવાની ફરિયાદો હોવાનું જણાવ્યું છે, જેની નોંધ વટવા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી.
યુવરાજસિંહે મુખ્યમંત્રીના રોજગાર મેળામાં પારદર્શિતાની વાતને ટાંકીને આક્ષેપ કર્યો છે કે આ ભરતીમાં માત્ર ઓળખાણવાળા અને પરિવારવાદને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં થયેલા કથિત કૌભાંડને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા છે.
આ પણ વાંચો: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યો આરોપ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક લિ.ની ભરતી પર સવાલો
આ પણ વાંચો: યુવરાજસિંહે ઉર્જા ભરતી કૌભાંડ મામલે લગાવ્યા ગંભીર આરોપ,સરકારે તપાસની આપી બાહેંધરી