દિવાળીના પર્વની શરૂઆત થઇ ગઇ છે. ચારેબાજુ હર્ષોલ્લાસ છે. આમ તો રમા એકાદશીના દિવસથી જ દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવે છે. જે છેક લાભ પાંચમ સુધી ચાલે છે. પરંતુ ઘણી જગ્યાએ વાઘબારથી લઇને ભાઇબીજ સુધીની તહેવારોની પરંપરા ચાલે છે. દરેક દિવસનું દિવસને પોતાનું આગવું મહત્વ છે. ભાઇ અને બહેનની મીઠી મઘુરી યાદો અને લાગણીસભર સંબંધો માટે યાદ કરવામાં આવતી ભાઇબીજ પછી બધા બહાર ફરવા જવાનો કે સગા-સબંધીના ઘરે જવાનું આયોજન કરતા હોય છે. પરંતુ છતિસગઢ રાજયના ભેજામેદાની ગામમાં એક અનોખી જ સંસ્કૃતિ અને પરંપરા છે. આ ગામમાં ભાઇબીજના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
છતિસગઢના બાલોદ જિલ્લાથી 32 કિમી દૂર આવેલા ગુરુર તાલુકાના આ ગામમાં આસો વદ અમાસે નહી પરંતુ કારતક સુદ બીજના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જેને ભેજા દિવળી તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ નવાઇની વાત તો એ છે કે ગુરુર તાલુકાના ભેજામેદીની ગામમાં શુ કામ ભાઇબીજના દિવસે જ દિવાળી ઉજવવામાં આવે છે તે કોઇને કશી જ ખબર નથી. બસ ગામના લોકો આ પરંપરાને બદલવા ઇચ્છતા નથી. ગામના વડિલોનું માનવું છે કે આ ગામ 100 વર્ષ પહેલા જમીનદારોનું ગામ હતું. જમીનદારો ગામમાં પોતાને ત્યાં દિવાળી ઉજવીને બે દિવસ પછી ગામમાં પ્રવેશતા હતા ત્યારથી જ આ પ્રથા પડી છે. જો કે જમીનદારી પ્રથા હવે નાબૂદ થઇ ગઇ છે પરંતુ ભાઇબીજ અને દિવાળીની પરંપરા યથાવત રહી છે.
ભાઇબીજ અને દિવાળીની પરંપરા યથાવત
ગામના ઘણા વડીલોનું માનવું છે કે ભાઇબીજના દિવસે જ દિવાળી ઉજવવાથી એક જ દિવસમાં બે તહેવારની ઉજવણી થાય છે. જેના કારણે ઉલ્લાસ પણ વધે છે. અને ખર્ચની પણ બચત થાય છે. આ ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં વ્યસત રહેતા હોવાથી આ પ્રથા પડી હોવાનું પણ માનવામાં આવે છે.
છતિસગઢના આ ગામના લોકોનું જે માનવું હોય તે પરંતુ આપણે ગુજરાતીઓ તો સામાન્ય રજાને પણ તહેવારની જેમ ઉજવીએ છીએ. તો પચી દિવાળીની તો રંગત જુદી જ રહે છે. કેમ ખરૂને..?