કોરોના વાયરસ સંક્રમણ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. સતત વધી રહેલા કેસને લઈને દેશમાં આરોગ્યનું પાયાગત માળખું સદંતર હલી ગયું છે. અનેક લોકોને હોસ્પિટલમાં પથારીઓ નથી મળી રહી તો અનેક સ્થળોએ ઓક્સિજનની અછત ઉભી થઇ છે. આ તમામ અવ્યવસ્થાઓને લીધે ડોક્ટર્સ લોકોને તેમના સ્વવાસ્થ્ય જાણવા માટે 6 મિનિટના વોક ટેસ્ટ કરવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઉપાય કરીને તમે તમારા સ્વાસ્થ્ય અને શરીરમાં ઓક્સિજનની સ્થિતિ અંગે સરળતાથી જાણી શકો છો.
નિષ્ણાતોના મત મુજબ જે લોકોને કોરોનાના લક્ષણ અનુભવાતા હોય તેઓ પ્રાથમિક રીતે ઘરે જ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરી શકે છે. તેના માટે પહેલા ઓક્સિમીટર પર સેચ્યુરેશન જોઈ લો. બાદમાં 6 મિનિટ સુધી સામાન્ય ઝડપથી ચાલો. 6 મિનિટ બાદ ઓક્સિજન લેવલ ચેક કરો. જો ઓક્સિજન લેવલ 3થી 4 ડિજિટ ઓછું થાય છે તો તે વ્યક્તિએ સાવધાન થઈ જવાની જરૂર છે.
આ રીતે કરી શકો છો ટેસ્ટ
ઉદાહરણ તરીકે સમજીયે તો, પહેલા ટેસ્ટમાં જો રીડિંગ 95 આવે છે. 6 મિનિટ સુધી ચાલ્યા પછી જો ઓક્સિજન રાઇડિંગ ઘટીને 92 કે તેનાથી ઓછું થઇ જાય છે તો તમારે સતર્ક થઇ જવાની જરૂર છે. આ ફેફસામાં તકલીફ અને શરીરમાં ઓક્સિજનની ઘટવાની સમસ્યાના સંકેત છે. આવા લોકોએ તુરંત કોરોના ટેસ્ટ કરાવીને યોગ્ય સારવાર શરૂ કરી દેવી જોઈએ.
કોણે ન કરવું જોઈએ આ પરીક્ષણ
તબીબોના જણાવ્યા અનુસાર, તમે અસ્થમાથી પીડાતા હોય તો તમારે આ ટેસ્ટ ન કરવું જોઈએ. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 6 ને બદલે 3 મિનિટ ચાલીને પણ આ ટેસ્ટ કરી શકો છો. આ ટેસ્ટના માધ્યમથી ઓક્સિજનની ઘટની તપાસ કરવાની અને સમયસર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં મદદ મળી શકે છે.
ઓક્સિજન સ્તર વધારવાના ઉપાય
તબીબો જણાવે છે કે જો કોઈ દર્દીના ફેફસામાં તકલીફ છે અને જો તેને તુરંત ઓક્સિજન ન મળી શકે તો ઘરે જ કેટલાંક ઉપાયો કરી ઓક્સસીજન સ્તર વધારી શકાય છે. આવા દર્દીઓને ઓછામાં ઓછા 1-2 કલાક પેટ દબાય તે રીતે સુઈ જવા કહેવું જોઈએ. આમ કરવાથી ફેફ્સાઓને આરામ મળે છે અને ઓક્સિજનના સ્તરમાં સુધારો થાય છે.