@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કેન્દ્ર સરકાર દ્વારા એક બાજુથી જમ્મુ કાસ્મીરમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે વાટાઘાટો અને ચર્ચાની સાથે વિકાસકૂચ ચાલતી રહે તે માટે પ્રયાસો થતાં રહે છે તેવે સમયે આતંકવાદીઓ ત્યાં એક યા બીજી રીતે હાજરી પૂરાવતા રહે છે. આ આતંકી તત્વો પાકિસ્તાન પ્રેરિત છે તેવું કહેવાની ભાગ્યે જ જરૂરત છે. શનિવારે મધરાત બાદ જમ્મુના વિમાની મથકે એરફોર્સને ટાર્ગેટ બનાવીને રાત્રે ૧.૪૭ વાગે અને ૧-૫૨ વાગે એમ બે હૂમલા થયા. આ એટલે કે એરફોર્સ સ્ટેશનના ટેક્નીકલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા. બે જવાનોને સામાન્ય ઈજા થઈ. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે પોતે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે જમ્મુ એરફીલ્ડ પરના આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે. જમ્મુ પોલીસે ૫-૬ કિલોગ્રામ આઈ.ડી. પણ જપ્ત કર્યા છે. આ આઈ.ઈ.ડી. લશ્કરે તોયબાના ઓપરેટિવે મેળવ્યા હતા. ટૂંકમાં બે બ્લાસ્ટ અને આટલા મોટા જથ્થામાં વિસ્ફોટકો મળી આવવા તે બાબત ઘણું બધું સૂચવી જાય છે.
આ બનાવમાં બે જવાનને ઈજા થઈ છે. જાનહાની થઈ નથી પરંતુ થોડું નુકસાન થયું છે. જાે કે મોટી જાનહાની સલામતીદળો તરત સ્થળ પર પહોંચી જતા ટાળી ચોક્કસ શકાઈ છે. એક સંદિગ્ધને પકડવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ સામગ્રી ડ્રોનના ઉપયોગથી ફેંકવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રથમ બનાવ હોવાનું જમ્મુ કાશ્મીરના ડીજીપી ઉપરાંત સંરક્ષણને લગતાં બે નિષ્ણાતો પણ કહે છે અને આ એક પ્રકારનો આતંકી હુમલો જ છે અને તેમાં સીમા પારના દેશનો હાથ છે. એટલે કે આતંકની ફેકટરી તો પાકિસ્તાનમાં જ ચાલે છે તે વાત હવે વારંવાર કહેવાની કે લખવાની જરૂરત નથી.
તેમાંય ડ્રોનનો ઉપયોગ પ્રથમવાર થયો છે એટલે સંરક્ષણ નિષ્ણાંતો એવો ભય વ્યક્ત કરી રહ્યા છે કે એરક્રાફ્ટ અને એરફોર્સને જ લક્ષ્યાંક બનાવવાનો આ પ્રયાસ હોઈ શકે છે. એક સંરક્ષણ નિષ્ણાતે તો ત્યાં સુધી કહી દીધું કે આતંકીઓ હવે સુસજ્જ બન્યા છે. જાે ડ્રોનના ઉપયોગની થીયરી સાચી હોય તો તપાસ માગી લે તેવું છે.
સોમવાર સવાર સુધી કોઈ આતંકી જૂથે આ બ્લાસ્ટની જવાબદારી સંભાળી નથી. સુરક્ષા સાથે સંકળાયેલી બન્ને એજન્સીઓ કામે લાગી ગઈ છે. તપાસ કરી રહી છે. એટલે સત્ય તો બહાર આવવાનું જ છે. તેમાંય જમ્મુને જે રીતે લક્ષ્યાંક બનાવવાનો પ્રયાસ થયો છે તે બાબત એક વાતની સાબિતી આપે છે કે આ જેવો તેવો હુમલો નહોતો. ભલે સદનસીબે તેમાં કહેવાતા આતંકી તત્વોને સફળતા મળી નથી અને આપણા જવાનો અને એરક્રાફ્ટને અસર થઈ નથી પરંતુ આ હુમલાની ગંભીરતા જરાય ઓછી આંકવાની કોઈ જરૂરત છે જ નહિ.
તેમાંય ભારતના સંરક્ષણ મંત્રી લેહ અને લડાખની મુલાકાતે હોય રાજનાથસિંહ જવાનોને મળીને સરહદની પરિસ્થિતિ અંગે વિગતો મેળવી જવાનો સાથે ચાની ચૂસકી લઈ તેમનામાં આત્મીયતાની લાગણી ઉભી કરતાં હોય તેવે સમયે જમ્મુમાં બનેલા આ બનાવના એક નહિ ઘણા સૂચિતાર્થો છે. જમ્મુ-કાશ્મીરનું વિભાજન અને ૩૭૦મી કલમની નાબૂદી બાદ ધીમેધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. સીમાંકન પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી અને યોગ્ય સમયે પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જાે આપવાની ખાતરી વડાપ્રધાને આપી દીધી છે. ભલે ગૃપકાર જુથના મહેબુબા મુફ્તી જેવા નેતાઓ પોતાના જુના વલણને વળગી રહ્યા હોય અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા હોય પરંતુ જમ્મુ-કાશ્મીરની પ્રજા તો ત્યાં રાબેતા મુજબની સ્થિતિ ઈચ્છે છે એમ પૃથ્વી પરનું સ્વર્ગ એવું કાશ્મીર ફરી પ્રવાસીઓથી ધમધમતું થાય ત્યાંના બે મુખ્ય તીર્થસ્થાનો અમરનાથ અને મા વૈષ્ણોદેવીના દર્શનાર્થે ભારત તો શું વિશ્વના કોઈપણ ભાવિકો દર્શનાર્થે આવે તેવું વાતાવરણ સર્જાય તેવું ઇચ્છે છે. વિસ્થાપિત તરીકે જીવન જીવતા કાશ્મીરી પંડિતો પોતાના વતનમાં ફરી યોગ્ય રીતે રહેતા થાય તેવું વાતાવરણ સર્જવાની દિશામાં એક પછી એક પગલાં ભરાઈ રહ્યા છે તેવે સમયે એક સારા વાતાવરણનું સર્જન થવાની દિશામાં લાગણી અને માગણીના અનુસંધાનમાં સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેવે સમયે હે એક માગણી ચોક્કસ ઉઠવા માંડી છે કે હવે આ ત્રાસવાદી તાંડવના જે કોઈ બાકી રહી ગયેલા મૂળિયા છે તે અવશ્ય ઉખેડી નાખવા જાેઈએ.
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેનાના સ્ટેશન પર બનેલી ઘટના અંગે વાઈસ એર ચીફ માર્શલ એચ.એસ. અરોડા સાથે વાત કરી છે અને સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયે આવેલા સંકેત પ્રમાણે એરમાર્શલ વિક્રમસિંહને સ્થિતિની સમીક્ષા માટે મોકલ્યા છે. દરમિયાનમાં વાયુસેનાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આ વિસ્ફોટથી બિલ્ડીંગની છતને નુકસાન થયું છે.
આ બનાવ બાદ સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ કક્ષાની ટીમે તો તપાસ કરી જ છે. જે સ્થળે બનાવ બન્યો તે પાકિસ્તાનની સરહદથી માત્ર ૧૪ કિ.મી. દૂર છે. આ બનાવમાં ડ્રોનનો ઉપયોગ થયો જ છે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને અંબાલા પઠાણકોટ સહિતના એરફોર્સના મથકો અને તેમાંય પાકિસ્તાનની નજીક આવેલા તમામ મથકો પર બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. આ બનાવમાં જાનહાની નથી થઈ અને જેને ઈજા થઈ છે તે પણ સામાન્ય થઈ છે. જાે કે હવાઈદળે સત્તાવાર રીતે ઈજાવાળી વાતને પુષ્ટિ આપી નથી, સ્વીકાર્યુ નથી. કારણ કે આ દિશામાં તપાસ ચાલું છે.
આ પ્રશ્ને નિષ્ણાતોએ ટીવી ચેનલ પર આવીને જે ભયસ્થાનો દર્શાવ્યા છે અને ખુદ જમ્મુના પોલીસવડાએ આતંકી હુમલા અને સીમા પારની ભૂમિકા અને ડ્રોનના ઉપયોગની શક્યતા દર્શાવી છે ત્યારે આ સ્થળે વધુ સાવધાની રાખવાનો સમય હવે આવી ગયો છે તે વાત તો સ્વીકાર્યા વગર હવે ચાલવાનું નથી. તેમાંય ઉપર જણાવી ગયા તે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા સહિત રાબેતા મુજબની સ્થિતિ સ્થાપવા પ્રયાસ થઈ રહ્યો છે તેવે સમયે આ પ્રકારના હુમલાવાળી ઘટનાની ગંભીરતા જરાય ઓછી આંકી ન શકાય અને સંરક્ષણ મંત્રીએ ખૂદ આ બનાવની ઘટના બાદ એરચીફ માર્શલને ત્યાં મોકલ્યા છે તે વાત જ પૂરવાર કરે છે કે સરકારે આ બનાવની ગંભીરતા જરાય ઓછી આંકી નથી. આ એક જાેગાનુજાેગ નથી પરંતુ આતંકનો એક પ્રકાર જ છે તેથી હવે પૃથ્વી પરના આ સ્વર્ગમાંથી આતંકી તત્વોના મૂળિયા જડમૂળથી ઉખેડી ફેંકવાનો સમય હવે આવી ગયો છે.