Bharuch News : ભરૂચના બ્લૂશિપ કોમ્પ્લેક્સમાં આવેલી આર.કે. સિનેમા ટોકીઝમાં ગઇકાલે રાત્રે એક અજીબોગરીબ ઘટના બની હતી. બોલિવૂડ ફિલ્મ ‘છાવા’નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. સંભાજી મહારાજની હત્યાનું દૃશ્ય જોઈને આવેશમાં આવેલા દારૂડિયા યુવકે આવું કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો. ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચઢી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પરદો ફાડવાનું ચાલુ રાખ્યું. ફાયર એક્સ્ટીંગ્યુસરથી પડદો તોડ્યો, સ્ટાફને ગાળો ભાંડી હતી.
પોલીસે જયેશ મોહન વસાવાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, “છાવા ફિલ્મમાં સંભાજી મહારાજની હત્યા કરવામાં આવેલી છે, જે બરાબર નથી, જેથી તેને ગુસ્સો આવી જતાં તેણે સિનેમાની બાજુમાં પડેલા ફાયર એક્સ્ટીંગ્યુસરથી પડદા પર પ્રહાર કરી સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો.” આ સાથે તેણે સિનેમા હોલના મહિલા સ્ટાફ સાથે પણ અપશબ્દો બોલી ધમકી આપી હતી.
પોલીસે આ મામલે નશા કરવાનો ગુનો નોંધ્યો છે. થિયેટરના મેનેજરે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જયેશ વસાવાની અટકાયત કરી હતી. તેની સામે નશો કરવા બાબતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મમાં ઇમોશનલ સીન આવતાં તે ભાવુક થઈ ગયો હતો અને તેણે થિયેટરનો પડદો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. થિયેટર દ્વારા પડદા ફાડવાના નુકસાન અંગે ફરિયાદ નોંધાવવામાં આવશે. ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. આ ઘટનાએ સિનેમાઘરમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચો: સિંહની ગર્જના અને એક સાથે હજારો દુશ્મનો પર હુમલો, ટીઝર જોયા પછી ચાહકો વિકી સામે થશે નતમસ્તક
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
