દ્વારકામાં એરપોર્ટ બનાવવા જમીન લેવા સામે ખેડૂતોએ બાંયો ચઢાવી છે. તેઓનું કહેવું છે કે જમીન લેવાના તંત્રના ઇરાદા અમે બર નહીં આવવા દઈએ. ગુજરાતના જાણીતા યાત્રાધામ દ્વારકાના સ્થાનિક ખેડૂતોમાં વસઈ ગામની આસપાસની જમીનમાં એરપોર્ટના બનવાનું છે તેને લઈને જમીન સંપાદન મુદ્દે તંત્ર સાથે હજી તો ચર્ચા શરૂ થવાની છે, પરંતુ તેના પહેલાં જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
દ્વારકામાં એરપોર્ટ
બધા ખેડૂતો જાણે છે કે એક વખત એરપોર્ટ બને તેટલે તેનાથી પૂરું થઈ જવાનું નથી. પછી તેને લગતી બીજી સેવાઓ વિકસાવવા માટે તંત્ર વધુને વધુ જમીન સંપાદન કરશે. તેથી તેમના હાથમાં કશું જ રહેવાનું નથી. તેના કારણે ફક્ત અસરગ્રસ્ત વસઈ ગામ જ નહી, તેની જોડેના કલ્યાણપુર, મેવાસા અને ગઢેચી ગામના ખેડૂતો પણ વિરોધ પ્રદર્શનમાં ઉતરતા તંત્રને પણ ચોંકવાના દહાડા આવ્યા છે. હજી તો જમીન સંપાદન માટેની વાતચીત શરૂ થયા પહેલાં જ આટલો વિરોધનો વંટોળ હોય તો આગળ અહીં એપોર્ટ કઈ રીતે બનાવવું તે તંત્ર માટે પણ મોટો સવાલ ઊભો થઈ ગયો છે.
તંત્રના અધિકારીઓ આગામી દિવસોમાં આ માટે જમીનના સરવે માટે આવવાના છે અને તેના પછી કામગીરી શરૂ કરવાના છે. તેની સામે ખેડૂતોની લડત પણ શરૂ થઈ જવાની છે. હજારો ખેડૂતો તંત્રના આ પગલાં સામે મેદાનમાં ઉતર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રની આ લડતને શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ બંનેનું સમર્થન છે. આ સિવાય પ્રતિષ્ઠિતો, સામાજિક આગેવાનો અને વિવિધ એનજીઓ પણ તેમની લડતને સમર્થન આપી રહ્યા છે. આ ઉપરાંત કેટલાય મજૂર સંગઠન, 40થી વધુ ગામના સરપંચો, વિવિધ ટ્રસ્ટ મંડળો અને વેપારી સંસ્થાઓ પણ ખેડૂતોની લડતને સમર્થન આપી રહી છે.
આના કારણે એરપોર્ટ સામેનો વિરોધ જાણે ફક્ત ખેડૂત આંદોલન પૂરતુ સીમિત ન રહેતા એક મોટા લોકજુવાળમાં પણ પરિવર્તીત થઈ શકે છે. વસઈમાં યોજાયેલી આ અંગેની ખેડૂત મીટિંગ ગરમાગરમ રહી હતી. દરેક ખેડૂતની એક જ રટ હતી કે અમે અમારી જમીન નહીં આપીએ, એરપોર્ટ માટે અમે અમારી જમીન નહીં આપીએ. અમારા આ નિર્ણય માટે અમે મરી ફીટવા તૈયાર છીએ. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ માટે અમે સૌપ્રથમ તો તંત્રને આવેદન આપવાના છીએ. તેના પછી પણ જો સરકાર સંમત ન થાય તો પછી રેલી કાઢીશું. આમ છતાં પણ જો તંત્ર અમારી વાત નહી માને અને એરપોર્ટની કામગીરી ચાલુ રાખશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરીશું અને જરૂર પડી તો પછીના પગલાંના સ્વરૂપમાં ચક્કાજામ પણ કરીશું. તેઓએ ઉમેર્યુ હતું કે જો અમારી માંગો પર સરકાર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં અમારા આંદોલનનો વ્યાપ વધશે અને અમારા ગામોની સાથે-સાથે આખુ દ્વારકા પણ આ બંધ પાળશે તેવો હુંકાર તેમણે કર્યો હતો. આ બતાવે છે કે દ્વારકામાં એરપોર્ટને લઈને કેવો ભારેલો અગ્નિ છે.
ખેડૂતોનું કહેવું છે કે એરપોર્ટ પ્રોજેક્ટ માટે તંત્રની નજર ચાર ગામની ફળદ્રુપ અને ઉપજાવ જમીન પર જ કેમ છે. આ જમીન પર સરકાર Airport બનાવે તો તેણે ખેડૂતોને જંગી વળતર ચૂકવવું પડે, જે તંત્ર ચૂકવવાનું નથી તે બજારભાવ નહીં પણ જંત્રી મુજબ જ વળતર ચૂકવશે. તેના પગલે લગભગ દોઢ હજારથી વધુ ખેડૂતો અને તેમના સાત હજારથી વધારે કુટુંબીઓ જાણે રસ્તા પર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય. આ ચારેય ગામ પાછા દરિયાની નજીક આવ્યા હોવાથી તંત્રના બાંધકામના કારણે બીજા દસ ગામોમાં પાણીના ભરાવાની સ્થિતિ આવે, કારણ કે પછી પાણી સીધુ દરિયામાં ન જાય
તંત્ર દ્વારકાધામનો વિકાસ કરવા માંગે અને ત્યાં એરપોર્ટ બનાવવા માંગ તે સારી વાત છે, અમારો વાંધો પણ Airport સામે નથી. પણ તેના માટે ખેડૂતોની ઉપજાઉ જમીન જ કેમ લેવી છે. અહીં ઓખામાં જ કેટલીય બિનઉપજાઉ જમીન પડેલી છે, તંત્ર કેમ તે જમીન લેતું નથી તે વાત અમને સમજાતી નથી. તંત્રનો ડોળો ખેડૂતની જમીન પર જ શા માટે છે.
આ જમીન પર ખેતી કરતાં ખેડૂતો મોટાભાગે અભણ છે. તેઓ ખેતી અને પશુપાલન સિવાય કોઈ વ્યવસાય કરવાને સમર્થ નથી. આ સંજોગોમાં તેઓ પાસેથી જમીન છીનવી લેવાય તો તેઓ સાવ નિરાધાર થઈ જાય તેમ છે. તેમને ભૂખે મરવાના દહાડા આવી શકે છે. તેમની આજીવિકા કાયમ માટે છીનવાઈ શકે છે. તંત્રને આની કોઈ ચિંતા નથી. તેના કારણે જ અમારે આંદોલનનો માર્ગ પકડવો પડે છે. જો તંત્ર અમારી ચિંતા કરતું હોત તો અમારે આંદોલન કરવાનું જ આવ્યું ન હોત. હવે તંત્ર અમને વિકાસના વિરોધી તરીકે ચીતરે કે ગમે તેમ ચીતરે, પરંતુ અમે અમારી જમીન નહીં આવીએ તે હકીકત છે.
આમ ખેડૂતો મક્કમ છે, તંત્ર હવે આમાથી કયા પ્રકારનો રસ્તો કાઢે છે અથવા તો ખેડૂતોનો આક્રોશ જોઈને જમીન બદલે છે તે તો ભવિષ્ય જ કહેશે. આગામી દિવસમાં દ્વારકામાં ત્યાં તંત્ર અને લોકો વચ્ચે રીતસરનો જંગ જામશે તેમ મનાય છે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો

