@નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ , સુરત
સુરતની લાજપોરની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ડાયમંડ ટ્રેનિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં કેદીઓ હીરા ઘસવાનું તથા કટિંગનું કામ શીખશે. જેલમાંથી છૂટયા બાદ ટ્રેનિંગ પામેલા કેદીઓ રત્નકલાકાર તરીકે કામ કરી પોતાનું અને પરિવારનું જીવન સુધારી શકશે.
- કેદીઓને સ્વમાનભેર જિંદગીના પાટે લાવ્યું જેલ પ્રશાસન
- 45થી 50 કેદીઓ હીરા ઘસીને કરી રહ્યા છે મહેનતની કમાણી
- જેલમાં રહીને પણ પરિવારની કરી રહ્યા છે મદદ
સુરત એટલે ડાયમંડ નગરી અને હવે હીરાની ચમક સુરતની હાઇટેક લાજપોર મધ્યસ્થ જેલમાં પણ જોવા મળી રહી છે. જ્યાં કેદીઓ હીરા ઘસી રહ્યા છે. અહીં કેદીઓને હીરા કટિંગ અને પોલિશીંગનું કામ સોંપાયું છે. હાલ જેલના 45 જેટલા કેદીઓ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે જ્યારે 50 થી વધુ કેદીઓ હીરા ઘસવાનું કામ પૂરું કરીને જેલમુક્ત થયા છે.
આ 45 કેદીઓને હીરા ઘસવાની તાલીમ પણ આપવામાં આવી છે અને માત્ર આટલું જ નહીં કેદીઓ હીરા ઘસીને જેલમાં રહેતા હોવા છતાં પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહયા છે.
- સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મળી રહ્યું છે કામ
- શીખાઉ કારીગરને 8થી 10 હજારનું વળતર
- કૂશળ કારીગરને 15થી 16 હજાર જેટલી કમાણી
- કમાણીમાંથી કેદીને મળે છે રૂ. 2100
સુરતની લાજપોર જેલમાં 45 જેટલા કેદીઓ હાલમાં હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. અને તેઓ સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી હીરા ઘસવાની ઘંટી પર કામ કરે છે. અહીં 50 થી 60 જેટલા કેદીઓ કામ શીખીને રજા મેળવી ચુક્યા છે..અહીં શિખાઉ કારીગરોને 8 થી 10 હજાર રૂપિયે મળે છે અને કુશળ કારીગરો હોય તેઓ મહિને 15 થી 16 હજાર જેટલું પણ કમાઈ લે છે. અને આ કમાણીમાંથી તેઓને 2100 રૂપિયા વાપરવા માટે આપવામાં આવે છે અને બાકીના રૂપિયા તેઓ પોતાના ઘરે મોકલે છે અને આ રીતે તેઓ જેલમાં રહીને પોતાના પરિવારને પણ મદદ કરી રહ્યા છે.
જેલ પ્રશાસને ખાનગી કંપની સાથે બે વર્ષના કર્યા MOU
જેલ પ્રશાસન દ્વારા બે વર્ષ પહેલા ખાનગી કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જે કેદીઓને તાલીમ પણ આપશે અને તેમને પગભર પણ બનાવશે. કેદીઓ હાલ તો જેલમાં કામ મળવાથી ખૂબ જ ખુશ લાગી રહ્યા છે અને પરિવાર સાથે પણ પોતાની ખુશીઓની વહેંચણી કરી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…