દેશના વહીવટની સાથે ૬ વર્ષના ટૂંકા ગાળામાં ૧૫ અને ૧૭ વર્ષ કે ૧૦ વર્ષ શાસન કરનારા વડાપ્રધાન કરતાં વધુ સભાઓ સંબોધવાનો વિક્રમ સર્જી દીધો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યાં માર્ચના અંતિમ સપ્તાહમાં મતદાન થવાનું છે. હવે પશ્ચિમ બંગાળની ચૂંટણી આ વખતે હાઈપ્રોફાઈલ બન્યો છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ જેટલા સરકારી કાર્યક્રમોની સાથે ત્રણ ચૂંટણી રેલી પણ સંબોધી ચૂક્યા છે. આગામી દિવસોમાં જ્યાં તબક્કાવાર મતદાન થવાનું છે ત્યાં ઓછામાં ઓછી ૨૦ રેલી વડાપ્રધાનની યોજાવાની છે. ૨૯૪ પૈકી મોટાભાગની વિધાનસભા બેઠકોને કે સંસદીય બેઠકોને આવરી લેવાનો ભાજપનો વ્યૂહ છે. ગૃહમંત્રી અમિત શાહ પણ ૫૦ રેલી કરવાના છે. કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના ઓછામાં ઓછા ૨૦ થી વધુ કેન્દ્રીય પ્રધાનોના આંટાફેરા પશ્ચિમ બંગાળમાં રહેવાના છે.
અમુકને તો ધામા નાખવા કહેવાયું છે પરંતુ આ પ્રચાર કાર્યક્રમ અંગે પ્રચાર માધ્યમો પોતાની રીતે મહત્ત્વ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક છે અને પ. બંગાળ તો શું દક્ષિણના જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ પ્રચાર માટે મોદીના આગમનનો આગ્રહ રખાય છે. આ અંગે એક અખબારે નોંધ્યું છે કે ભાજપના મોટાભાગના નેતાઓ માને છે કે મોદીનો પ્રચાર એ ભાજપ માટે બ્રહ્માસ્ત્ર સમાન છે તો તેની સામે ઘણા એમ પણ કહે છે વેદોમાં પણ અનેક પ્રસંગો છે જેમાં ખરી આફત ટાણે કે લોકોને રંજાડતા આસુરી શક્તિ સામે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય. મેઘનાદ (ઈન્દ્રજીત) સામે લડવા જનારા લક્ષ્મણજીને પણ ભગવાન શ્રી રામે કહેલું કે બ્રહ્માસ્ત્રના ઉપયોગથી દૂર રહેજે. આ વાત બ્રહ્માસ્ત્રનું મહત્ત્વ સમજાવે છે. જો કે નરેન્દ્ર મોદીનું પ્રવચન કે નામ એ ભાજપનું બ્રહ્માસ્ત્ર છે એવું ગુજરાત સહિત કેટલાક રાજ્યોના ભાજપના નેતાઓ માને છે પરંતુ પ્રચારમાધ્યમો આનો એવો અર્થ કહે છે કે ભાજપ પાસે નરેન્દ્રભાઈ મોદી સિવાય લોકોમાં છવાઈ શકે તેવો કોઈ નેતા છે જ નહિ.
૨૦૧૪માં વડાપ્રધાન પદે બિરાજમાન સાડા છ વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે તેવે સમયે ૨૦૧૪થી શરૂ કરી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ વખતે વડાપ્રધાન મોદીએ સંબોધેલી ચૂંટણીસભાઓની સંખ્યાઓછામાં ઓછી ૪૦૦ને વટાવી જાય છે. ૭૦ સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે નરેન્દ્રભાઈ મોદીએ ઓછામાં ઓછી છ સભા સંબોધી હતી. ૨૦૧૫ અને ૨૦૨૦ની ચૂંટણીનો સરવાળો ૧૨ ને વટાવી જાય છે. પરિણામની સૌને ખબર છે. એટલે આમા નથી પડવું. ભાજપના પ્રચાર સમિતિના વડા કે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ૧૦૦ સભા સંબોધી હતી. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ વિદેશ પ્રવાસોની પરંપરા સાથે ચૂંટણીપ્રચાર સભાઓનો સીલસીલો ચાલુ રાખ્યો છે.
હવે, નરેન્દ્રભાઈના નજીકના પૂરોગામી મનમોહનસિંહે પોતાના ૧૦ વર્ષના કાર્યકાળમાં માત્ર ૫૦ ચૂંટણી સભાઓ સંબોધી છે. મનમોહનસિંહના પૂરોગામી અને પ્રખર વક્તા એવા અટલબિહારી વાજપેયીએ વડાપ્રધાનપદના છ વર્ષના સમયગાળા દરમિયાન ૪૫ થી વધુ ચૂંટણી સભાઓ સંબોધી નથી તેવું જાણકારો કહે છે. જ્યારે દેવગૌડા ચંદ્રશેખર, પી.વી. નરસિંહરાવ, વી.પી.સિંહ, આઈ.કે. ગુજરાલ, ચૌધરી ચરણસિંહ વગેરેએ પણ પોતાના ટૂંકા કે લાંબા શાસનકાળ દરમિયાન વડાપ્રધાન તરીકે આંગળીના વેઢે ગણાય એટલી સભાઓ સંબોધી હતી.
આ બધામાં સતત પાંચ વર્ષ શાસન કરનાર પી.વી. નરસિંહરાવે પોતાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની માત્ર ૧૨ સભાઓને સંબોધી હતી. રાજીવ ગાંધીએ પાંચ વર્ષ અને ત્રણ માસના કાર્યકાલમાં સંબોધેલી સભાનો આંક ૫૦થી વધતો નથી. જ્યારે શ્રીમતી ઈંદિરા ગાંધીએ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધીના સમયગાળામાં ૧૫ વર્ષ કરતાં વધુ સમય રાજ કર્યું પણ તેમણે સંબોધેલી સભાનો આંક ૧૦૦ માંડ થાય છે. જ્યારે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ૧૯૪૭થી ૧૯૬૪ એટલે કે ૧૭ વર્ષ સુધી શાસન પર હતા તેમ છતાં તેમણે સંબોધેલી ચૂંટણી સભાનો આંક ૧૦૦થી પણ ઓછો છે.
વામન છતાં વિરાટ એવા લાલબહાદુર શાસ્ત્રીજીના શાસનકાળમાં બે યુધ્ધ લડ્યા પણ તેઓ દોઢ પોણા બે વર્ષના શાસનકાળ દરમિયાન સભાઓને સંબોધન નહોતા કરી શક્યા.
વડાપ્રધાન પદ મળ્યા પછી કોઈપણ નેતા માટે પહેલા દેશ અને પછી પક્ષ હોય છે. વડાપ્રધાને આખો દેશ સંભાળવાનો હોય છે. જાે કે અત્યારે ઉલ્ટી સ્થિતિ છે. વડાપ્રધાન એક કે બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય તો પોતે જ પ્રચારનો ભાર વહન કરે છે. વડાપ્રધાન પોતે સારા વક્તા છે. લોકો પર કેમ છવાઈ જવું એ તેમની આવડત છે તે બધુ સાચું પરંતુ દેશની સરહદે પાકિસ્તાન ચીન પોતાના લખાણ ઝળકાવતા હોય. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પોલીસ કે સુરક્ષાદળો પર હુમલા કરી હાજરી પૂરાવતા હોય. કોરોનાની મહામારી હજી સાવ ગઈ નથી. હાલના તબક્કે પણ ગુજરાત સહતિ ૮ રાજ્યોમાં કોરોનાના કેસોનું પ્રમઆમ વધી રહ્યું છે. કોરોનાના કારણે પાટા પરથી ઉતરી ગયેલા દેશના અર્થતંત્રની ગાડી સાવ પાટા પર પડી નથી. દેશના અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારો હજી યથાવત જ છે. ભાવ વધારાનો ભોરીંગ આમ આદમીના જન જીવન પર ભયંકર રીતે ભરડો લઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈને પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી એક રાજ્યના પ્રચાર ઝુંબેશના મુખ્ય સ્ટાર પ્રચારક બનવું પડે તે કોઈપણ પક્ષ માટે તો સારી નિશાની નથી પરંતુ દેશ માટે પણ કમનસીબી છે.
આના કારણે તો કોઈને ગમે કે ન ગમે પણ દેશના ઘણા પ્રચાર માધ્યમો એવી નોંધ લઈ રહ્યા છે કે ભાજપ પાસે નરેન્દ્રભાઈ મોદી જેવો સ્ટાર પ્રચારક બીજાે કોઈ છે જ નહિ જે લોકમત પર પોતાનો પ્રભાવ પાડી શકે અને અસરકારક સ્ટાર પ્રચારકોના અભાવે જ વડાપ્રધાનને પોતે દેશના કોઈપણ રાજ્યમાં સ્ટાર પ્રચારક તરીકે અન્ય કોઈ પણ નેતાઓ કરતા વધુ ભાર વહન કરવો પડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષના ચૂંટણી પ્રચાર પર જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન દેશના પ્રશ્નો ઉકેલવા પર આપે તો મોટા ભાગના આતંકવાદીઓની જેમ મોંઘવારીરૂપી રાક્ષસના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સાથી પ્રધાનો, પી.એમ.ઓ. સહિતના મંત્રાલયોએ અધિકારીઓની ફોજ અને ભાજપના સંગઠન પર પણ ભૂતકાળમાં કોઈ પક્ષના નેતાએ નહોતી જમાવેલી તેવી પકડ ધરાવે છે યોગ આધ્યાત્મિકતા અને કઠોર પરિશ્રમના સહારે ૧૮ કલાક કામ કરનારા મોદી સાહેબ આ જવાબદારી નિભાવે છે. પરંતુ તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે ભાજપ હંમેશા પ્રચાર માટે વડાપ૩ધાન પર જ નિર્ભર રહે આ વાત દેશના હિતમાં નથી જ. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની દેશને લાંબા સમય માટે જરૂર છે.