રાજ્યમાં હાલમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી હતી. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં જીત બાદ ભાજપે મેયર અને અન્ય પદાધિકારી કોને બનાવવા તેનું મનોમંથન શરુ કરી દીધું છે. આગમી સપ્તાહના અંત સુધીમાં 6 મહાનગરોના મેયર સહિતના અન્ય પદાધિકારીઓની વરણી થઇ જશે. આ પગલે દરેક મહાનગરના કમિશનરે કોર્પોરેશનની જનરલ બેઠક બોલવાની તૈયારી આદરી છે.
જાણવા મળેલ માહિતી અનુસાર, અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની બેઠક યોજવાની છે. જેમાં આ બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી થઇ શકે છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 મી સપ્ટેમ્બર ના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરાશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં પણ તા. 12મી સપ્ટેમ્બરે જ જનરલ બોર્ડ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.