હૈદરાબાદ
તેલુગુ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી સિનિયર અભિનેત્રી અન્નપુર્ણાની પુત્રી કીર્તિએ આત્મહત્યા કરી છે. શનિવારે સવારે હૈદરાબાદના શ્રીનગર કોલોનીમાં અભિનેત્રીના નિવાસસ્થાને તેઓની 23 વર્ષની દીકરી કિર્તીનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો.બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસે કેસ નોંધ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પહેલાંકીર્તિએ વેંકટકૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. આ બનાવ પહેલાં વેંકટકૃષ્ણા શુક્રવારે બપોરે 2 વાગ્યે બેંગલોરથી હૈદરાબાદ પહોંચ્યો હતો. વેંકટકૃષ્ણાએ કહ્યું કે, તે બીજા રૂમમાં સૂઈ ગયો હતો અને કીર્તિ બેડરૂમમાં સુતી હતી. પરંતુ જ્યારે તે સવારે ઉઠ્યો, ત્યારે તેણે કિર્તીનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.
જ્યારે વેંકટકૃષ્ણએ આ જોયું ત્યારે તેમણે કીર્તિની માતા અભિનેત્રી અન્નપૂર્ણાને માહિતી આપી હતી, જે તેમના ઘરની સામે રહેતા હતા. આ પછી, અન્નપૂર્ણાએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી. બંજારા હિલ્સ પોલીસ સ્ટેશને કેસ નોંધાવ્યા બાદ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
જો કે, પોલીસને ડર છે કે કીર્તિએ સ્વાસ્થ્ય સમસ્યાઓના લીધે આ પગલું લીધું છે. અહેવાલો અનુસાર, કીર્તિ છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનની સમસ્યાઓ સામે લડી રહી હતી.
આ ઉપરાંત, કેટલાક અહેવાલો છે કે આત્મહત્યાના અન્ય એક કારણ પણ જાણવા મળી રહ્યું છે. એવું કહેવાય છે કે, કીર્તિની એક પુત્રી હતી જે મૂંગી હતી અને તેથી તે ચિંતામાં હતી.