Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગની જમીનના વિવાદને લઈને મોટી બબાલ થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો, જેના પછી પોલીસ પહોંચતાં તેમના પર પણ હુમલો થયો.
મળતી માહિતી અનુસાર, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જમીનના અતિક્રમણ અંગે તપાસ કરવા પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિકોએ વિરોધ કરતાં હિંસા ફાટી નીકળી. ફોરેસ્ટ કર્મીઓ પર પથ્થરમારો થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. જોકે, ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસકર્મીઓ પર પણ પથ્થર વરસાવ્યા. આ હુમલામાં મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને લોહીલુહાણ હાલતમાં અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
સૌથી ગંભીર ઘટના અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ગોહિલ સાથે બની. હુમલાખોરોએ તેમના પર તીરથી હુમલો કર્યો, જેમાં તીર કાનના ભાગે વાગતાં પીઆઈ બેભાન થઈ ગયા. તેમની હાલત ગંભીર બનતાં LCBની ટીમે તાત્કાલિક તેમને સુરક્ષિત સ્થળે ખસેડીને જીવ બચાવ્યો.
હિંસા વધુ ઉગ્ર બનતાં હુમલાખોરોએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને આગ ચાંપી દીધી હોવાના પણ અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાયો છે અને વધુ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
આ ઘટના અંગે પોલીસે હજુ સુધી અધિકૃત નિવેદન આપ્યું નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિવાદ જમીનના અતિક્રમણને લઈને લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:મહીકા ગામે જમીન વિવાદમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી
આ પણ વાંચો:મહીસાગરના બાલાસિનોરમાં જમીન વિવાદ વણસ્યો, ભૂતપૂર્વ MLAના પુત્ર સહિત 20 સામે કેસ

