સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ બાદ લોકોમાં કોઈ પણ દર્દની આયુર્વેદ સારવાર કરાવવાનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. કોરોના પહેલા આયુર્વેદ સરકારી હોસ્પિટલમાં દરરોજ માંડ ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હતા જે સંખ્યા હાલ ૧૮૦ થી ૨૦૦ સુધી પહોંચી છે અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે.
વધુ મળતી વિગત અનુસાર કોરોનાના કપરા કાળ દરમિયાન ઇમ્યુનિટી વધારવામાં આયુર્વેદીક ઔષધિઓ અક્સીર સાબીત થઈ હતી અને લોકો આયુર્વેદિક સારવાર થકી મોતના મુખમાંથી પાછા આવ્યાના દાખલા પણ જોવા મળ્યા હતાં. જેની સીધી અસર હાલ લોકોના જનમાનસ પર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં કોરોના કાળ પહેલા માંડ દિવસભરમાં ૧૦૦ જેટલા લોકો સારવાર માટે આવતા હતાં પરંતુ કોરોના બાદ આયુર્વેદમાં લોકોનો વિશ્વાસ વધતા આયુર્વેદિક હોસ્પિટલમાં દૈનિક ઓપીડીની સંખ્યા ૧૮૦ થી ૨૦૦ સુધી પહોંચી છે. આયુર્વેદ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી દર્દીઓની લાઇનો જોવા મળી રહી છે. સામાન્ય રોગ ઉપરાંત ચામડી, હાથ પગના સાંધાના ઘસારા જેવા અનેક જટીલ રોગોની સારવાર પંચકર્મ અને અગ્નીકર્મ દ્વારા કરવામાં આવતા આ જટીલ રોગો જડમુળમાંથી દર્દીઓને છુટકારો મળી રહ્યો છે. આજના સમયે એલોપેથીની મોંઘીદાટ સારવારની સામે આયુર્વેદિક હોસ્પિટલમાં તમામ સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે અને સૌથી મોટો ફાયદો એ રહે છે કે આયુર્વેદિક દવાઓની મોટા ભાગે કોઇ આડઅસર જોવા મળતી નથી. જેથી દિવસે દિવસે આયુર્વેદિક સારવાર માટે લોકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ આયુર્વેદને પ્રોત્સાહન આપી લોકોમાં થોડી જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે તો લોકોને મોંઘીદાટ દવાઓના ખર્ચમાંથી મુક્તી મળશે.
આ પણ વાંચો : ઝારખંડમાં લાલુ પ્રસાદ યાદવના રૂમમાં લાગી આગ, RJD સુપ્રીમો અકસ્માતમાં માંડ માંડ બચ્યા