જમ્મુ,
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને પગલે ભારે પૂર આવ્યાં છે. કાશ્મીરની ઝેલમ સહિતની મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યાં છે. જમ્મુના વિવિધ જિલ્લામાં વરસાદ અને તેને સંબંધિત ઘટનામાં એક મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે અને એક ડઝન જેટલાં મકાનો ધ્વસ્ત થઇ ગયાં છે.
ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં પહલગાંવ અને બાલતાલ રૂટ પરથી અમરનાથની પવિત્ર ગુફાએ જવા માટે નીકળેલા યાત્રાળુઓ ફસાયા છે. આ બંને રૂટ પર અમરનાથ યાત્રા હાલ અટકાવવી પડી હતી. જો કે રવિવારે આ યાત્રા ફરી ચાલુ કરવામાં આવી છે.અમરનાથ યાત્રાના બંને રૂટ ભારે વરસાદના કારણે અત્યંત ચીકણા અને લપસણા થઈ ગયા હોવાથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
ભારે વરસાદને કારણે શ્રીનગર, અનંતનાગ, પુલવામા, કુલગામ અને અન્ય સ્થળોએ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અખનૂર સેક્ટરમાં નાથુલફાલ ગામમાં આવેલા પૂરના પાણીમાં હરબંસ લાલનો એક માણસ વહી ગયો હતો. તે એક નાળાને પાર કરી રહ્યો હતો ત્યારે અચાનક આવેલા પાણીના પ્રવાહમાં તે તણાઇ ગયો હતો. તેની લાશ મળી આવી છે. જમીલા નામની એક મહિલાના છાપરા પર વૃક્ષ તૂટી પડતાં તેનું મોત થયું હતું. તેમાં જમીલાની પુત્રીને પણ ઇજા થઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પૂંચ જિલ્લાના સુરણકોટ વિસ્તારમાં પૂરમાં એક ૨૨ વર્ષીય યુવાન અંઝાર અહેમદ પણ તણાઇ ગયો હતો અને તેની લાશ પણ મળી આવી છે. પૂરના પ્રકોપમાં એક ડઝન જેટલા કાચા મકાનો પડી ગયા છે અને ૩૦થી વધુ ઢોર-ઢાંખર પણ તણાઇ ગયા છે.