ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તેમના જમાનાના બેટ્સમેન સુનીલ ગાવસ્કર માને છે કે સ્વર્ગસ્થ શેન વોર્ને તેમની કારકિર્દીમાં જાદુઈ બોલિંગ કરી હતી પરંતુ તેઓ અત્યાર સુધીના મહાન સ્પિનર નથી કારણ કે ભારતમાં તેમનું પ્રદર્શન સરેરાશ હતું. ગાવસ્કરના આ નિવેદનના સમયને લઈને ઓસ્ટ્રેલિયન મીડિયાના કેટલાક વર્તુળોમાં ઘણી નિંદા થઈ રહી છે.
તેમને પૂછવામાં આવ્યું કે શું તે શેન વોર્નને સર્વકાલીન મહાન સ્પિનર માને છે, ગાવસ્કરે કહ્યું કે તે ભારતીય સ્પિનરો અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને વોર્નથી બેસ્ટ ગણે છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, મારા મતે ભારતીય સ્પિનર અને મુથૈયા મુરલીધરન તેના કરતા સારા છે. તેનું કારણ એ છે કે ભારત સામે શેન વોર્નનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે. ભારતમાં તેણે નાગપુરમાં માત્ર એક જ વાર પાંચ વિકેટ લીધી હતી.
ગાવસ્કરે વધુમાં કહ્યું કે, તેમને ભારતીય ખેલાડીઓ સામે વધારે સફળતા મળી નથી, કારણ કે ભારતીયો સ્પિન ખૂબ સારી રીતે રમે છે. તેથી જ હું તેમને મહાન નહીં કહીશ. મુથૈયા મુરલીધરન ભારત સામે વધુ સફળ રહ્યો છે. હું તેને વોર્નની ઉપર મૂકીશ.
ઉલ્લેખનીય છે કે શેન વોર્ને 1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે 194 વનડેમાં 293 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, મુથૈયા મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 800 વિકેટ ધરાવે છે.
ગાવસ્કરે પણ વોર્નના વખાણ કર્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ સમય માટે તેમના નિવેદનની નિંદા કરી છે. ‘ફોક્સ ન્યૂઝ’એ કહ્યું, આ યોગ્ય સમય નથી. વોર્ન વિશેના ‘શરમજનક’ દાવા બદલ ભારતીય દિગ્ગજની ટીકા થઈ.ગાવસ્કરનું નિવેદન વિચિત્ર છે, કારણ કે તેમણે પોતે સ્વીકાર્યું હતું કે બોલર માટે લેગ સ્પિનની કળામાં નિપુણતા મેળવવી સૌથી મુશ્કેલ છે, ‘news.com.au’ એ જણાવ્યું હતું.
અહેવાલમાં બ્રિટિશ પત્રકાર જેક મેન્ડેલ દ્વારા કરાયેલ એક ટ્વિટ પણ સામેલ છે જેમાં કહ્યું હતું કે, “સની આ યોગ્ય સમય નથી.” આ પ્રશ્ન ટાળી શકાયો હોત. હજુ તેમના અંતિમ સંસ્કાર પણ થયા નથી.
