Bangladesh News: બાંગ્લાદેશના રંગપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો (Family Members) શંકાસ્પદ સંજોગોમાં મૃત મળી આવતા ચકચાર મચી છે. મૃતકોમાં નિવૃત્ત શિક્ષક સહિત તેમની પત્ની, પુત્રી અને 12 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસ (Police Investigation) સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
રંગપુરમાં પરિવારના ચાર સભ્યો (Family Members)ના મૃતદેહ મળ્યા
મળતી માહિતી મુજબ, રંગપુરમાં ગણપતિ ચક્રવર્તી નામના નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ 65 વર્ષીય ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, 23 વર્ષીય પુત્રી આગામી ચક્રવર્તી પાર્થી અને 12 વર્ષીય પુત્ર પ્રિયમ તરીકે થઈ છે. ગણપતિ ચક્રવર્તી ગયા વર્ષે રંગપુર જિલ્લા વિદ્યાલયમાંથી નિવૃત્ત થયા હતા. તેમની પુત્રીએ આ વર્ષે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી, જ્યારે તેમનો પુત્ર ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.
ઘરની અલગ-અલગ જગ્યાએથી મૃતદેહ મળ્યા
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ગણપતિ ચક્રવર્તીનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો. તેમની પત્ની અને પુત્રીના મૃતદેહ સીડીઓ પાસેથી મળી આવ્યા હતા, જ્યારે તેમના પુત્રનો મૃતદેહ પલંગની નીચેથી મળી આવ્યો હતો. એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ અલગ-અલગ જગ્યાએથી મળતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. જોકે, ચારેયના મોત કેવી રીતે થયા તે અંગે હાલમાં સત્તાવાર રીતે કોઈ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
બહારથી બંધ હતો ઘરનો દરવાજો
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો ખોલીને ઘરની અંદર તપાસ કરી હતી. ઘરમાંથી ચારેય મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને તપાસ હેઠળ લીધો હતો. CIDની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.
પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem Report) માટે રંગપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. પોલીસ (Police Investigation) હાલ પરિવારના સંબંધીઓ, પાડોશીઓ અને સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી રહી છે. ઘરમાં કોઈ સંઘર્ષ થયો હતો કે કેમ અને પરિવારના સભ્યોના મોત પાછળ કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
