અમદાવાદઃ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 28ના (Rajkot Gaming Zone Tragedy) મોતના છાંટા બધે ઉડ્યા છે. હાઇકોર્ટે આ મુદ્દે આકરું વલણ અપનાવતા રાજ્ય સરકાર આ મુદ્દે સાવધાનની સ્થિતિમાં છે. તેથી સરકારે જાહેર સ્થળોની સલામતીને લગતા માપદંડોનું ભંગ કરનારા કોઈપણ સ્થળ હોય તો તેની સામે આકરાં પગલાં લેવા આદેશ આપ્યા છે.
સરકારના આદેશ મુજબ કોમર્સિયલ બિલ્ડિંગો, ગેમઝોન, સ્કૂલો-કોલેજો, ગેમઝોન, જીમ, હોસ્પિટલ, રેસ્ટોરા, ફૂડ કોર્ટ, હોટેલો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવા સ્થળે (Public Place) ફાયર સેફ્ટીની ચકાસણી, આગજની કે અન્ય કોઈ ઘટના બને તો બહાર નીકળવા માટેના વિકલ્પો છે કે નહી તેની પણ તપાસના આદેશ આપ્યા છે.
સરકારની આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે નક્કી નથી, પરંતુ અત્યારે સરકારી તંત્ર સક્રિય થયું હોય તેવો દેખાવ કરે છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે.
સરકારના નિર્દેશ મુજબ કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. તેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂચના અનુસાર રાજ્યમાં રાજકોટની ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તમામ શહેરોના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યાર પછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ થઈ જાય છે અને જાતજાતના આદેશ છૂટવા લાગે છે. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનની ઘટના પછી હવે દરેક જગ્યાએ ફાયર NOCનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવળત્તિ થતી હોય ત્યાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે, તથા જ્યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્યાં ગુનો નોંધવામાં આવે.
આ આદેશમાં જણાવ્યું છે કે દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જે તે એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરશે. કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે 150 સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની મળીને કુલ 1,600થી વધુ સ્કૂલોમાં ડીઇઓ કચેરીની ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.
અમદાવાદમાં ડીઈઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 100 સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ૨૦ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી થઈ રહી છે. જે શાળાઓની ફાયર એનઓસીની મુદ્દત એક મહિનામાં પૂરી થવાની હોય તેમને ફાયર એનઓસી રિન્યુ કરવા માટે જણાવાયું છે. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે, પરંતુ તે બંધ હાલતમાં પડેલા છે અથવા તેનો કયારેય ઉપયોગ જ નથી થયો. આ ઉપરાંત આ સાધનો વસાવ્યા પછી તેને કેવી રીતે ચલાવવા તેની તાલીમ પણ જરૂરી બાબત છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હાલમાં ચેકિંગ ચાલુ છે.
આ પણ વાંચો: દિયોદર રામાપીર મંદિરમાં જમાઈએ સાસુની હત્યા કરી, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો
આ પણ વાંચો: ફાયર એનઓસી ન હોવાથી રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ
આ પણ વાંચો: જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર NOC, રાજકોટ અગ્નિકાંડના પડઘા
આ પણ વાંચો: રાજકોટમાં TRP ગેમઝોન આગકાંડમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું