દેશમાં જ્યા વિકાસની વાતો કરતા આપણા નેતાઓ થાંકતા નથી, ત્યારે શું ખરેખર વિકાસ થયો છે ખરો? આપણે વિકાસનો અર્થ કઇક અલગ સમજ્યા છીએ. રોડ અને રસ્તા બનાવવા, મોટી મોટી બિલ્ડીંગો બનાવવી જ વિકાસ ગણી ન શકાય. માણસનાં વિચારોમાં બદલાવ આવે તે ખરા અર્થમાં વિકાસ કહી શકાય. ગુજરાતમાં બનેલી એક ઘટનાએ વિકાસની વાતોને જુઠ્ઠી સાબિત કરી છે.
ગુજરાત ભલે ગમે તેટલા વિકાસનાં રસ્તે આગળ વધ્યુ હોય પરંતુ આજે પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણે છે. લોકો બાળકોને પણ અંધશ્રદ્ધાથી દૂર નથી રાખી શકતા. ત્યારે બનાસકાંઠા વાવમાં બિમાર બાળકને ઠીક કરવા માટે ગરમ સળીયા અને ચિપિયા વડે ડામ આપવામાં આવ્યા હતા. બાળકને ડામ દેવા બાબતે તેની માતાનું કહેવુ છે કે, બાળક બિમાર થયો એટલે ડામ અપાયા પણ ઠીક ન થયો એટલે દવાખાને લઇને આવ્યા છીએ. દીકરો બિમાર થયો એટલે ટાઢા કરાયા છે, સોયાથી ટાઢા અપાયા પણ ફરક કંઇ પડ્યો નહીં એટલે દવાખાને આવ્યા છીએ. બાળકની માતાની વાતો સાંભળ્યા બાદ એકવાત સ્પષ્ટ છે કે આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા ગઇ નથી. અશિક્ષિત લોકોમાં આજે પણ અંધશ્રધ્ધા ઘર કરી ગઇ છે. આજનાં આધુનિક સમયમાં અને પ્રચાર પ્રસાર કરવા છતાં હજુ લોકોનાં મનનાં વહેમ દૂર કરી શકાયા નથી. બનાસકાંઠામાં બાળક આજે પણ બીમાર પડે ત્યારે તેને હોસ્પિટલમાં લઇ જવાને જગ્યાએ ગામમાં એક-બે લોકોને બતાવી બાદમાં ડામ દેવાય છે. થરાદ, ધાનેરા, ડીસા અને પાલનપુરમાં રોજનાં 30થી 35 બાળકોને ડામ દેવાયેલા કિસ્સાઓ સામે આવે છે. ડીસાનાં તબીબનાં જણાવ્યા મુજબ ડીસામાં દર મહિને 15થી વધુ બાળકોને ડામ અપાયેલા બાળકોને સારવાર માટે લવાય છે. ચોંકાવનારી વાત એ છે કે આજે બનાસકાંઠામાં બનેલી ઘટનામાં નવજાત બાળક ડામનાં દર્દને સહન ન કરતા મોતને ભેટી ગયુ છે.
આ બાળકને ડામ આપ્યા બાદ તેની બિમારી દૂર ન થતા સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. ગુજરાતનાં અંતરિયાળ ગામોમાં આજે પણ બાળકોને ડામ આપવાનો સિલસિલો યથાવત છે. બાળકોને જ્યારે ખાંસી, શરદી કે તાવ આવે તો અંધશ્રદ્ધાનાં નામે હજુ પણ અંતરિયાળ ગામોમાં ગરમ સળીયા અને ચિપિયા વડે ડામ અપાય છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો બિમારીથી બચવા આવા ડામ આપતાં હોય છે. કહી શકાય કે અંધશ્રદ્ધાનો ભોગ વધુ પડતા બાળકો જ બનતા હોય છે અને આવી ઘટના માટે માતાપિતા જ સૌથી વધુ જવાબદાર ગણાય છે.