- અંકલેશ્વરમાં વર્ષ 1993 થી અમરપુરા પાસે એરસ્ટ્રીપ ઉભી કરવાનું રાજ્ય સરકારનું વચન આજે પણ અધ્ધર તાલ
- 8 વર્ષ પૂર્વે ઉર્જા મંત્રીએ હવાઈ મથક તેમજ કાર્ગો સર્વિસ માટે નાના પ્લેન રીપેરીંગના સેન્ટરની પણ જાહેરાત કરી હતી
- પ્રોજેક્ટ જાહેરાત બાદ 84 હેક્ટર જમીનની વર્ષ 2002માં એરસ્ટ્રીપ માટે ફાળવી થઇ હતી
- વિધાનસભા જાહેર હિસાબ સમિતિનું ગાંધીનગરથી નીકળી સીધું જ એરસ્ટ્રીપની જગ્યાએ ઉત્તરાયણ
શુ ભરૂચને મળશે એરપોર્ટ, 28 વર્ષથી ખોરંભે પડેલ એરસ્ટ્રીપનો હિસાબ લેવા ગાંધીનગરથી વિધાનસભાની હિસાબ કમિટીએ સીધું જ અંકલેશ્વર એરસ્ટ્રીપ સ્થળે લેન્ડિંગ કર્યું હતું. વર્ષ 1993 થી અમરતપુરા પાસે એરસ્ટ્રીપ ઉભી કરવાનું રાજ્ય સરકારના વચન આજે પણ અધ્ધર તાલ છે. 8 વર્ષ પૂર્વે ઉર્જા મંત્રી એ હવાઈ પટ્ટી તેમજ કાર્ગો સર્વિસ માટે નાના પ્લેન રીપેરીંગનું સેન્ટર ઉભું કરવાની પણ જાહેરાત કરી હતી.
અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2002 માં 84 હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી. જ્યાં આજે ગાંધીનગરથી વિધાનસભા હિસાબ સમિતિ આવી પોહચી, ત્યાં સ્થળ પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. ત્રણ દાયકાથી વધુ સમયગાળો થવા છતાંય આ એર સ્ટ્રીપ કેમ ઘોંચમાં પડી તે અંગે માહિતી મેળવી 15 દિવસમાં આ અંગે રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું હતું.
અંકલેશ્વર તાલુકાના અમરતપુરા થી માંડવા વચ્ચે હાઈવે ને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.
જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યો જોડાયા હતા. સાથે સમિતિ સભ્યો ધારાસભ્ય જીતુ સુખડિયા, આત્મારામ પરમાર, અભય જોશીયારા, ભગા બારડ, વિવેક પટેલ, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમ્મર તેમજ સમિતિના સચિવ મેરામળ કંદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અંકલેશ્વર ખાતે હવાઈપટ્ટીની તેમજ જીઆઈડીસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાર્યરત વિવિધ ઔધોગિક એકમોની જાણકારી મેળવી હતી.
બેઠકમાં ઉદ્યોગકારોના પ્રશ્નો, વાયુ-પ્રદૂષણ, રોડ-રસ્તા, પાણી, ગટર તેમજ માનવજીવન પર થતી અસર વગેરે બાબતે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જાહેર હિસાબ સમિતિ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સરકારની યોજનાઓ ઉદ્યોગકારો સુધી પહોંચી છે કે નહીં તેની ચકાસણી કરી ઓડિટ કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશે ઉદ્યોગકારોની નાની-મોટી ફરિયાદોનું તાકીદે નિવારણ લાવી તેની જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પાણીની ટ્રીટમેન્ટ કરી દરિયામાં દૂર છોડવામાં આવે છે એ જગ્યાના ભૂતકાળ અને વર્તમાન પૃથક્કરણ ના રિપોર્ટમાં કોઈ ખરાબી નથી તે અંતર્ગત નર્મદા ક્લીન ટ્રેક કંપની પણ મુલાકાત લીધી હતી. જે વેળા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
હવાઈ પટ્ટી માટે 4 થી વધુ વાર બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા માં હવાઈ પટ્ટી માટે વિધાનસભા બજેટ સત્ર માં તત્કાલીન CM નરેન્દ્ર મોદી તેમજ આનંદી બહેન પટેલ ના સમયમાં ₹ 100 કરોડ ઉપરાંતનું બજેટ પણ ફાળવી જાહેરાત કરાઈ હતી.જૉકે 28 વર્ષમાં પ્રોજેકટ આગળ વધ્યો જ ન હતો.
દેશની કુલ નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લાને એર સ્ટ્રીપની જાહેરાત બાદ વડોદરા અને સુરત એરપોર્ટ વધુ ઝડપ થી વિકસાવાયા
ભરૂચ જિલ્લા 1993-94 માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ પણ યોજના માત્ર કાગળ પર જોવા મળી રહી છે. જમીન અને દીવાલ ઉભી થઇ છે. પણ હવાઈ જાહેરાત જમીન ઉપર ફળીભૂત થઈ શકી નથી. હાલમાં જ દેશની કુલ નિકાસમાં ભરૂચ જિલ્લો છઠ્ઠા નંબરે ₹5000 કરોડ સાથે હોવાનું બહાર પડાયું હતુ. ત્યારે ભરૂચથી 70 KM બન્ને તરફ વડોદરા અને સુરતના એરપોર્ટ વધુ ઝડપીથી વિકસિત કરવામાં આવ્યા છે. ત્યારે ઔદ્યોગિક ગઢ માટે હવાઈ અને કાર્ગો સેવા હજી ટેકઓફ કરી શકી નથી.
રાજ્યનું ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લાને એર સુવિધાથી કટ ઓફ રાખવાનું કારણ શું
ભરૂચ જિલ્લામાં 1979 થી અંકલેશ્વર ઔદ્યોગિક એકમ નો પાયા નખાયા બાદ આજે જિલ્લાના 9 પૈકી 7 તાલુકા 12000 થી વધુ ઔદ્યોગિક એકમો સ્થપાયા છે. જેમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર, બાદ પાનોલી, ઝગડીયા, દહેજ , ભરૂચ, પાલેજ, વાલિયા, અને હવે વિલાયત, સાયખા, ઉપરાંત જંબુસર ખાતે ઔદ્યોગિક એકમો સ્થપાયા છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી દેશની નિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. ત્યારે રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લાને એર કનેક્ટિવિટીથી કટ-ઓફ કેમ રાખવા માં આવી રહ્યો છે.
પૌરાણિક કથા / રાવણે દેવી સીતાને મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં કેમ રાખ્યા? આ હતું કારણ
Life Management / ખેડૂતે છોકરાને નોકરી પર રાખ્યો, છોકરાએ કહ્યું “જ્યારે જોરદાર પવન ફૂંકાશે, ત્યારે હું સૂઈશ”…તેનો અર્થ શું હતો?
Life Management / જ્યારે શેઠે પ્રશ્ન પૂછ્યો ત્યારે સંતે કહ્યું, “હું તમને જવાબ આપવા નથી આવ્યો”
હવામાન વિભાગ / ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ