એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) એ અજય સિંહના અંકુશ હેઠળની એરલાઇન સ્પાઇસ જેટને 30 નવેમ્બર સુધીમાં રૂ.20 કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો. ઓથોરિટીએ દાવો કર્યો હતો કે એરલાઇનના બાકી લેણાં તેની સિક્યોરિટી ડિપોઝીટની 80 ટકાની મર્યાદા કરતાં વધી ગયા છે.
કંપનીએ જમા કરાવેલી રૂ.104 કરોડની સિક્યોરિટી ડિપોઝીટની સામે લેન્ડિંગ, પાર્કિંગ અને રૂટ નેવિગેશન ચાર્જીસ પેટે બાકી લેણાં રૂ.117 કરોડ થઇ ગયાં છે. આ ઉપરાંત એરલાઇનને તેના બાકી લેણાંના ઝડપી ક્લિયરન્સ માટે બિલિંગની સામે પ્રતિ દિવસ ઓછામાં ઓછા રૂ.2.5 કરોડની ચૂકવણી કરવા પણ જણાવવામાં આવ્યું છે.
જો કંપની નિયત તારીખ સુધીમાં રૂ.20 કરોડ નહીં ચૂકવી શકે તો તેણે બિલિંગ સામે ચૂકવવાની થતી મીનીમમ રકમ રૂ.2.5 કરોડને બદલે રૂ.3.5 કરોડ ચૂકવવી પડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ દરેક એરલાઇન્સ કંપનીએ તેમના બાકી લેણાં, સરકારી માલિકીના એરોડ્રોમ ઓપરેટર પાસે જમા સિક્યોરિટી ડિપોઝીટનાં 80 ટકાથી નીચે રાખવાનાં હોય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે મંગળવારે સ્પાઇસજેટને નોટિસ મોકલીને 30 નવેમ્બર સુધીમાં રૂ.20 કરોડ ચૂકવવા આદેશ આપ્યો છે કારણકે તેનાં બાકી લેણાં સિક્યોરિટી ડિપોઝીટના 80 ટકાની મર્યાદા વટાવી ચૂક્યા છે.
આ બાબતે સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એરલાઇન દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને અન્ય વેન્ડર્સને નિયત સમયપત્રક પ્રમાણે પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અમે અમારી તમામ જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રતિબધ્ધ છે.”
ગુરૂગ્રામ સ્થિત નો-ફ્રીલ્સ એરલાઇન 57 સ્થળોએ દૈનિક 446 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. કંપનીએ ફયુલ ખર્ચમાં થયેલાં વધારા અને ફોરેન કરન્સીની ખોટને કારણે સપ્ટેમ્બર મહિનામાં રૂ.389.37 કરોડની ખોટ કરી હતી.