Rajkot News: રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરાઈ ગઈ હતી. આ અંગે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તે જ સમયે, નાફેડના ચેરમેન જેઠા ભરવાડે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હવેથી નાફેડના તમામ ગોદામોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક ગિરિરાજ વેરહાઉસમાંથી સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા ભાડે લેવામાં આવેલા ગોદામમાં 57600 બોરી મગફળી રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરિરાજ વેરહાઉસમાં રાખવામાં આવેલી મગફળીમાંથી 1212 બોરી મગફળી ચોરાઈ ગઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને વેરહાઉસ પર દેખરેખ રાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 31.64 લાખ રૂપિયાની મગફળીની ચોરીએ ખળભળાટ મચાવ્યો હતો.
આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમજ વસૂલાતની કાર્યવાહી પણ ચાલી રહી છે. જેઠા ભરવાડે સ્પષ્ટતા કરી હતી કે આ ચોરીને કારણે નાફેડને એક રૂપિયાનું પણ નુકસાન થયું નથી.
‘આ ચોરી સાથે અમારા વિભાગનો કોઈ સંબંધ નથી.’ ચોંકાવનારી વાત એ છે કે એક તરફ જેઠા ભરવાડ કહે છે કે આ ચોરીને કારણે નાફેડને એક રૂપિયાનું પણ નુકસાન થયું નથી. બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ‘આ ચોરી સાથે અમારા વિભાગનો કોઈ સંબંધ નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી પછી, જવાબદારી એજન્સી અને નાફેડની રહે છે.’ દર 6 મહિને વેરહાઉસનું ભૌતિક રીતે ચકાસણી થતી હોય છે. આમ છતાં, મગફળીની ચોરી થતાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે. વેરહાઉસમાં સીસીટીવી કેમેરા કેમ નહોતા? સુરક્ષા હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?
આ પણ વાંચો: મગફળી ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન, કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે
આ પણ વાંચો: માળીયાહાટીનામાં મગફળી કૌભાંડની આશંકા, તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરાયો આક્ષેપ
