Jamnagar News: જામનગરના મિગ કોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે જૂથ અથડામણ (Group clash)ની ઘટના સામે આવી છે. મંદિરની બહાર જાહેર રસ્તા પર બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનાના પગલે મંદિર પરિસરમાં હાજર દર્શનાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Group clash: સામસામે પથ્થરમારો, મંદિર પરિસર સુધી પહોંચ્યા પથ્થરો

મંદિર (Jangaleshwar Mahadev Temple)પાસે રહેતા કેટલાક પરિવારો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો (Stone Pelting)કરવામાં આવ્યો હતો. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકો મંદિર તરફ જતા મંદિર પરિસરમાં પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. ઘટનાને પગલે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો
112 ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ પોલીસની 112 ટીમ તાત્કાલિક જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી અને બંને પક્ષોને શાંત પાડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મંદિરના પૂજારી પંકજે જણાવ્યું હતું કે મંદિરની આસપાસ રહેતા કેટલાક લોકો વચ્ચે અવારનવાર કજીયા-કંકાશ થતા હોવાનો આક્ષેપ છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને આ અંગે સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે ઝઘડા દરમિયાન મંદિર તરફ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર દબાણ દૂર કરવાની સ્થાનિકોની માગ
સ્થાનિકો અને મંદિર સાથે સંકળાયેલા લોકોનો આક્ષેપ છે કે મંદિરની આસપાસ જાહેર રસ્તા પર થયેલા દબાણોના કારણે અવારનવાર સમસ્યાઓ ઊભી થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ દબાણો દૂર કરવા માટે અગાઉ પણ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં એમ્બ્રોઈડરી વર્કર્સનો વિરોધ ઉગ્ર: પોલીસ પર પથ્થરમારો બાદ લાઠીચાર્જ, રાયોટિંગનો ગુનો
