અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં સતત જે વધારો થઈ રહ્યો છે તે ઘણો ચોંકાવનારો છે.શહેરના મણિનગરની એલજી હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલી અને ઈન્દ્રપુરી વોર્ડમાં રહેતી ત્રણ વર્ષની બાળકી ડેન્ગ્યુના કારણે મોતને ભેટી હતી.બાળકીનું સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થતાં કુલ અમદાવાદમાં ડેન્ગ્યુના કારણે મૃત્યુઆંક 10નો અને અનઅધિકૃત આંક 15નો થયો છે.
વિગતો અનુસાર ગયા વર્ષે ડેન્ગ્યુમાં 4ના મૃત્યુ હતા, એટલે ચાલુ વર્ષે મૃત્યુઆંક અઢીથી ત્રણ ગણો થઇ ગયો છે. ગયા વર્ષે નવેમ્બરના પહેલા 23 દિવસમાં ડેન્ગ્યુના જે કેસ નોંધાયા હતા તેમાં આ વર્ષે 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, શહેરમાં નવેમ્બરના પહેલા 23 દિવસમાં 651 કેસ નોંધાયા છે. જે 16 નવેમ્બર સુધીમાં 454 હતા અને માત્ર અઠવાડિયામાં જ 197 જેટલા નવા કેસ નોંધાયા છે.
અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે, આ આંકડાઓ પર નજર કરીએ તો રોજના સરેરાશ 28 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં રોજના સરેરાશ 11 કેસ હતા. ગયા વર્ષે આખા મહિનામાં 223 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે નવેમ્બરના પહેલા જ 23 દિવસમાં 651 કેસ સામે આવ્યા છે. આ મહિનો પૂરો થવામાં હજુ પણ થોડા દિવસ બાકી છે.
AMCના અધિકારીઓએ કહ્યું કે, માત્ર ડેન્ગ્યુ જ નહીં પરંતુ મેલેરિયાના કેસ પણ વધ્યા છે. શહેરમાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મેલેરિયાના 167 કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે મહિનાના પહેલા 23 દિવસમાં 188 કેસ નોંધાયા છે.
મ્યુનિ.તંત્રએ સોમવારે ડેન્ગ્યૂના મચ્છરોના બ્રીડિંગ મામલે એકસામટી ૪૨૨ સાઇટોમાં સ્થળ તપાસ કરી હતી. મલેરિયા વિભાગની જુદી જુદી ટીમોએ તમામ સાતેય ઝોનમાં હાથ ધરેલી આ કાર્યવાહીમાં મોટાપાયે મચ્છરોના બ્રીડિંગ મળી આવવાના કેસમાં ૧૦ એકમોની સીલ કરી દેવામાં આવ્યા હતા. એડમીન ઓફિસ સીલ કરાઇ હતી. ૪૦ એકમોને નોટિસ આપીને ૯૧,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જે 10 બિલ્ડિંગ કોર્પોરેશને સીલ કરી છે તેમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું આદિત્યરાજ આર્કેડ (જોધપુર), એમ.કે. કન્સ્ટ્ર્ક્શન (વેજલપુર) અને સર્કલ બી કોમ્પલેક્સ (બોડકદેવ) પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.