અમદાવાદ,
વિશ્વ હિંદુ પરિષદ (VHP)માં હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા યુગનો અંત આવ્યા બાદ તેઓએ મંગળવારથી અમદાવાદ શહેરના VHP કાર્યાલય વણીકર ભવન ખાતે અનિશ્ચિત ઉપવાસ શરુ કર્યા હતા. પરંતુ ઉપવાસના ત્રીજા દિવસે તબિયત નાદુરસ્ત થવાના કારણે સાધુ સંતોની સમજાવટ બાદ તોગડિયાએ ઉપવાસના પારણા કર્યા છે.
ઉપવાસ મંચ પર ઉપસ્થિત સંતો-મહંતોએ તેઓને પારણા કરાવ્યા હતા. ઉપવાસના પારણા બાદ તેઓએ જણાવ્યું હતું કે, ” મારી માંગ સાથે બધા જ સહમત છે તેમજ હું હવે દેશભરની યાત્રાની કરીશ”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિર અને ગૌહત્યા મામલે લડાઇ ચાલુ રહેશે અને હિંદુત્વની યાત્રા પણ હું ચલાવતો રહીશ. દેશના યુવાનોને રોજગાર જોઈએ છે એમ પણ તેઓએ કહ્યું હતું.
મહત્વનું છે કે, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો હતો. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા યુગનો અંત આવ્યો હતો. ત્યારે તેઓએ મંગળવારથી અમદાવાદ શહેરના VHP કાર્યાલય વણીકર ભવન ખાતે અનિશ્ચિત ઉપવાસ શરુ કર્યા હતા.
અ પહેલા સતત ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠેલા પ્રવિણ તોગડિયાના શરીરના સુગરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે તેમજ તેઓના બ્લડપ્રેશરમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ તોગડિયાની તબિયત થઈ નાદુરસ્ત થતા ડૉક્ટરોએ તેઓની મેડિકલ તપાસ કરી હતી.
પ્રવિણ તોગડિયાની મેડિકલ તપાસ બાદ ડોકટરોએ જણાવ્યું હતું કે, “તેઓની કિડની માટે સંકેત સારા નથી”. જયારે તોગડિયાની તબિયત લથડવાના કારણે તેઓનું વજન એક થી દોઢ કિલો ઘટવાની આશંકા વ્યક્ત કરી હતી.