અમદાવાદ,
11 જેટલી બેન્કો સાથે 2654 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ધરપકડ કરાયા બાદ ભટનાગર પિતા પુત્રોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સીબીઆઈ કોર્ટમાં આ ત્રણેયને રજૂ કરાયા જ્યાં સીબીઆઈએ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જે માગ સામે આરોપીઓના વકીલ તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વકીલે જણાવ્યું કે સુરેશ ભટનાગરને ૩ વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે ત્યારે આવી સ્થિતિમાં રિમાન્ડ આપવા યોગ્ય ન કહેવાય. મહત્વનું છે કે મંગળવારે અમિત ભટનાગર, તેના ભાઈ અને તેના પિતાની રાજસ્થાનના ઉદેપુરથી ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ અને સીબીઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેમની ધરપકડ કરી હતી.
વડોદરામાં બેંક ફ્રોડ મામલે અમિત ભટનાગર પર બેંક સાથે 2,654 કરોડ રૂપિયાનાં ધોખાધડી મામલે ઇન્કમટેક્ષે અમિત ભટનાગરની ડાયમંડ પાવરની ઓફિસ અને ઘરો જેવી 17 જગ્યાઓ પર આજે ઇન્કમટેક્ષે રેડ કરી છે. સીબીઆઈ સામે અમિત ભટનાગરે આગોતરા જામીનનો પ્રસ્તાવ સીબીઆઈ કોર્ટ સમક્ષ મુક્યો હતો જે સીબીઆઈ કોર્ટે ફગાવી દીધો છે.
સીબીઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે DPILના ફાઉન્ડર સુરેશ ભટનાગર અને તેમના દીકરા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરની ઉદેપુરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સીબીઆઇ સાથે ગુજરાત એટીએસ પણ જોડાઇ હતી.
મંગળવારના રોજ CBI દ્વારા સ્પેશિયલ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, DPILના પ્રમોટર્સને ભાગેડુ જાહેર કરવામાં આવે. તેમણે CBIના જજ સમક્ષ માંગ કરી હતી કે અમિત ભટનાગર, તેના ભાઈ સુમિત ભટનાગર અને પિતા સુરેશને ભાગેડુ જાહેર કરવામાં આવે. CRPCના સેક્શન 83 અંતર્ગત તેમની સંપત્તિ પણ જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં તેઓ ધરપકડથી બચવા નાસતા ફરી રહ્યાં હતા જોકે ત્રણેય આરોપી સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ ગયા છે.