અમદાવાદ,
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી કોલ સેન્ટરમાંથી કોલ કરી છેતરપીંડી કરીને લોકોના પૈસા પડાવતી ગેંગનાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ 4 આરોપીઓ લોકોને પ્રધાનમંત્રી મુંદ્રાલોન આપવાનાં બહાને છેતરપીંડી આચરતા હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્તિ વિગતો મુજબ ઓનલાઇન લોન લેવા માંગતા લોકો માટે એક વેબપેજ બનાવવામાં આવ્યુ હતું જેમાં લોન માટે ઇચ્છુક લોકો વિગતો ભરતા હતા. તે બાદ આ ટોળકીનાં સભ્યો જે-તે વ્યક્તિને ફોન કરીને લોન આપવા માટે અલગ અલગ પ્રકારે ફોર્મ ભરવાનાં ચાર્જ, રજીસ્ટર કરવાનાં તેમજ ટેક્સ ભરવાનાં ચાર્જનાં નામે પૈસા પડાવતા હતા.
આ કૌંભાડનો મુખ્ય સુત્રધાર અનીલ જોશી આ કૌભાંડ છેલ્લાં 6 મહિના કરતા વધુ સમયથી ચલાવતો હતો અને તે અત્યારે પણ પોલીસ પકડથી બહાર છે. નોંધનીય છે કે ધંધા માટે રૂપિયા 5 લાખની લોનનાં નામે સિધ્ધરાજ ડાભી નામનાં ફરિયાદી પાસેથી આ ગેંગે અલગ અલગ ચાર્જનાં નામે એક લાખ રૂપિયા પડાયા હતા. આ ટૂકડી બ્રિજ કેપીટલ નામનું ફીશીંગ વેબપેજ બનાવીને ત્યાંથી ધંધા માટે લોનની જરૂર હોય તેવા લોકોનાં ડેટા મેળવતા હતા. પોલીસે દિલ્હીથી પકડેલા 4 આરોપીઓમાં બે યુવાન અને બે યુવતીઓ છે જેમાં બે યુવાન અને એક યુવતીની ઉંમર 19 વર્ષથી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમે હાલમાં તો આ ગેંગ દ્વારા કેટલા લોકોને શિકાર બનાવ્યા અને કૌંભાડના મુખ્ય સુત્રધાર અનીલ જોશીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.