અમદાવાદનાં ખોખરા વિસ્તારના રાધે મોલમાં મોડી સાંજે આગ લાગી ગઈ હતી. જેને કારણે મોલના વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. એક સાથે 4 થી 5 દુકાનો આ આગની ઝપેટમાં આવી જતા લાખો રૂપિયાનો માલ સામાન આગમાં સળગી ગયો હતો.
જોકે ઘટના અંગે જાણ થતા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડેની ટીમે આગ પર કાબૂ મેળવવા 9 જેટલા ફાયર ટેન્કર મંગાવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાધે મોલમાં જે જગ્યા પર આગ લાગી હતી. તે મોલનો ત્રીજો માળ હતો. જેમાં ટ્યુશન કલાસીસ પણ ચાલે છે.
સદનસીબે આ ટ્યુશન કલાસીસ થોડા સમય અગાઉ જ બંધ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આગની ઘટના બની હતી. ઘટનાને પગલે તમામ વસ્તુ આગમાં હોમાઈ ગઇ હતી. જોકે કોઈને જાનહાનિ પહોંચી ન હતી. ફાયરબ્રિગેડની ટીમના અધિકારીઓનું માનવું છે કે મોલમાં જે ફાયર સીસ્ટમ હોવી જોઈએ તે જોવા મળી ન હતી.