અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશની કમાન એક નવા ચહેરાને આપવામાં આવે એવી ચર્ચાઓ રાજકારણના ગલિયારામાં જોવા મળી રહી હતી ત્યારે મંગળવારે આ ચર્ચાઓનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે.
કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ તેમજ જનરલ સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ અમિત ચાવડાના નામની જાહેરાત કરી હતી. તેઓ જણાવ્યું હતું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. તેઓ ભરસિંહ સોલંકીનું સ્થાન લેશે. પ્રદેશના અધ્યક્ષ તરીકે ભરતસિંહે કરેલા ઉત્તમ કાર્યને પણ પક્ષ બિરદાવે છે”.
પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની ભરતસિંહ સોલંકીના સ્થાને નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે.
અમિત ચાવડાના કેરિયર અંગે જોવામાં આવે તો તેઓ આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા સીટ પરથી વર્તમાન ધારાસભ્ય છે તેમજ તેઓ ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ આ સીટ પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. આ ઉપરાંત તેઓ એક રાજકીય ફેમિલીમાંથી આવે છે. તેઓના દાદા ઈશ્વર ચાવડા પણ એક સમયે સંસદ સભ્ય હતા અને તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા પણ હતા.
મહત્વનું છે કે, ગત વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વરણી થયા બાદ તેઓ દેશભરમાં કોંગ્રેસને મજબૂત બનાવવા અને ભારતીય જનતા પાર્ટીના વિજયરથને રોકવા માટે પાર્ટીને લગતા નિર્ણયો ખુબ ઝડપથી કરી રહ્યા છે તેમજ તેઓ પણ યુવા નેતાઓને કમાન સોપવા માટે કટિબદ્ધ જણાઈ રહ્યા છે.