વિવિધ તાલુકા મથક ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા
ગાંધીધામ: ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના અંતર્ગત આજે સોમવારે ભચાઉ જડબેસલાક બંધ રહ્યું હતું. આ અંગે જૈન સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી લેવાની માંગણી કરવામાં આવી છે.
આ અંગે જૈન સહિતના અન્ય સમાજના આગેવાનો તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ પણ આરોપીઓને તાત્કાલિક ઝડપી લઈને તેની સામે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે જૈન સમાજ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.
શું બની હતી ઘટના
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે રવિવારે સાંજે ભચાઉના માંડવી વાસમાં બે જૈન સાધ્વીજી વહોરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે માંડવી ચોકમાં બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બે સાધ્વી વહોરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવીને અચાનક આવેલા આ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
આવો અચાનક હુમલો થતાં સાધ્વીજીઓ ડઘાઈ ગયા હતા. જો કે, આ હુમલામાં સાધ્વીજીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જૈન સાધ્વીજી પર થયેલા આ હુમલાને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી હતી.
આ દરમિયાનમાં જૈન સાધ્વીજી પર થયેલા હુમલાના પગલે સમસ્ત જૈન સમાજની લાગણી દુઃભાઈ છે અને આ ઘટનાનાં વિરોધમાં આજે સોમવારે સમગ્ર ભચાઉ શહેર સ્વયંભુ બંધ રહ્યું હતું. આ ઘટનાને સમસ્ત જૈન સમાજનાં આગેવાનોએ વખોડી કાઢીને કડક પગલા ભરવા માંગણી કરી હતી.
ઘટનાના વિરોધમાં ભચાઉમાં યોજાઈ જંગી સભા
જૈન સમાજમાં સાધ્વી પર થયેલા હુમલાનાં વિરોધમાં આજે ભચાઉ સજ્જડ બંધ રહ્યું હતું. શહેરનાં તમામ વેપારીઓ સ્વયંભુ રીતે ‘બંધ’માં જોડાયા હતા. આ હુમલાના વિરોધમાં સમસ્ત જૈન સમાજનાં આગેવાનો અને વેપારીઓની ભચાઉમાં એક જંગી સભા યોજાઈ હતી. જેમાં આવા બનાવોને વખોડી કાઢવામાં આવી આવ્યા હતા.
આ ઘટનાને પગલે મુંબઈગરા ભચાઉવાસીઓ પણ ભચાઉ દોડી આવ્યા હતા. આ પ્રસંગે વાગડ સાત ચોવીસી જૈન સમાજનાં પ્રમુખ ધીરજલાલ પુંજે આ હુમલાના બનાવને વખોડી કાઢ્યો હતો અને આ રીતનાં બનાવમાં પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. વાગડ પંથકમાં કાયદો વ્યવસ્થાનાં ઉઠતા સવાલોને પગલે પોલીસ સતર્ક બને તેવી માંગ કરી હતી.
પૂર્વ પ્રમુખ વાગડ ચોવીસી મહાજનનાં લક્ષ્મીચંદ ચરલાએ પણ આ ઘટના દુઃખદ ગણાવી હતી અને આરોપીઓને સત્વરે ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ભચાઉ સ્થાનકવાસી છ કોટી જૈન સંઘના પ્રમુખ લખમશી નંદુએ ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોરી સત્વરે પગલા લેવાય તેવી માંગણી વ્યકત કરી હતી.
ભચાઉમાં ગઈકાલની ઘટનાને પગલે યોજાયેલી સભામાં સમસ્ત જૈન સમાજ સહિતનાં અન્ય આગેવાનોએ ઘટનાને વખોડીને જાહેર સભા યોજી હતી. સભા બાદ વિશાળ રેલી નીકળી હતી અને ભચાઉ પોલીસ મથકે તેમજ પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર પાઠવી આરોપીઓને સત્વરે પકડી પાડવા માંગ કરાઈ હતી.
વિવિધ આગેવાનો દ્વારા ઘટનાએ વખોડી કઢાઈ
આ બનાવને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલા, નગરપતિ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, ભરતભાઈ ઠક્કર, હિંમતભાઈ મહેતા, મેઘજી કરશન નંદુ, ભરતસિંહ જાડેજા, પૂર્વ નગર અધ્યક્ષા ઈલાબેન શાહ, વનરાજસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન તેમજ ભુજ શકિતધામનાં પ્રમુખ મેઘુભા ઝાલા, પૂર્વ વિપક્ષી નેતા મહેશ શાહ, અવિનાશ મારાજ, ચીના મારાજ સહિતનાં આગેવાનોએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી.
આ સભામાં મુંબઈ ઉપરાંત સામખિયાળી, આધોઈ, મનફરા, ખારોઈ, ભરૂડિયા સહિતનાં સમગ્ર વાગડ પંથક તેમજ ગાંધીધામથી આગેવાનો ભચાઉ આવી પહોંચ્યા હતા.