ધોરાજી,
ધોરાજીમાં ઘણાં વર્ષોથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં પણ દર પાંચ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. શહેરમાં પાણીની નવી લાઈનો નાખવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે લાઈન ચેકીંગ માટે નવી લાઈનો મારફતે પાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો માહોલ સર્જાયો હતો એટલે કે ટેસ્ટીંગ દરમિયાન દરેક લાઈનોમાં ભંગાણ સર્જાયું હતું અને રસ્તા પર પાણીની રેલમછેલ જોવાં મળી હતી. અસંખ્ય લીટર પાણી વહી ગયું હતું.
પાણી ડીસ્ટ્રીબ્યુશન લાઈનની કામગીરી નબળી પૂરવાર થઈ છે જેને લીધે આ સમસ્યા સર્જાઈ છે. હાલ કોન્ટ્રાક્ટરને સુચના આપી પાલિકાનાં કર્મચારીઓને દેખરેખ રાખવાં માટે સાથે રાખીને આ લીકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે ધોરાજી નગરપાલિકા વોટર વર્કસ સમિતિનાં ચેરમેન અમીષભાઇ અંટાળાએ જણાવ્યું કે, ધોરાજી શહેરમાં પાણીની નવી ડીસ્ટ્રીબ્યુશન લાઈન ભાજપ શાસિત નગરપાલિકા સમય કાળમાં બિછાવવામા આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા લાઈનો યોગ્ય રીતે લગાવવામાં ન આવતાં આ સમસ્યા સર્જાઈ છે.