અમદાવાદ: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની આત્મહત્યા કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના દાહોદ ખાતે બનવા પામી છે. જેમાં દાહોદ ટાઉન પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની ઘટના બની છે. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, પોલીસ તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ ટાઉન પોલીસ મથકમાં વિનોદભાઇ બારીયા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે વિનોદભાઈ બારીયાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ ઘટના અંગે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે, વિનોદભાઈ બારિયા શહેરા તાલુકાના ચલાલી ગામના રહીશ હતા. વિનોદભાઈ છેલ્લા ઘણા સમયથી પારિવારિક પ્રશ્નોને લઈને અપસેટ રહેતા હતા. એટલું જ નહી તેઓ છેલ્લા ત્રણ મહિનાથી સતત રજા પર હતા.
જોકે, વિનોદભાઈની આત્મહત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમજ તેમના મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.