અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના વૃદ્ધ ખેડૂતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને મળેલી સુસાઈડ નોટમાં દેવું વધી જતાં અને વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવાયું છે.
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં એક વૃદ્ધ ખેડૂતે આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. જેના ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના રહેવાસી એવા દેવસિંહ ભગવતસિંહ જાડેજા એસ.ટી. નિગમમાં કંડકટર તરીકે ફરજ બજાવીને નિવૃત થયા હતા. આ પછી તેમણે પોતાના પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે જોડાયા હતા.
દેવસિંહ જાડેજાએ આ વર્ષે અપૂરતા વરસાદ વચ્ચે એક અઠવાડિયા પૂર્વે ખેતર વાવેતર કર્યું હતું. આ દરમિયાન વરસાદ ચાર-પાંચ દિવસ વધુ ખેંચાયો હતો જેના કારણે વૃદ્ધ ખેડૂત દેવસિંહ જાડેજા ચિંતામાં ગરકાવ બની ગયા હતા.
આ દરમિયાન તેમના કુટુંબીજનો અને ગામજનો કહેતા હતા કે, આપણા ખેતરમાં વાવેતર કર્યું છે. પરંતુ વરસાદ ન આવવાના કારણે આ વર્ષે કોઈ વળતર મળશે નહીં. જેના કારણે તેઓ ચિંતિત બન્યા હતા. ત્યારે બીજી તરફ તેઓ વ્યાજખોરોના વિષવમળમાં પણ ઘેરાયેલા હતા. જેના લીધે તેઓ વધુ પરેશાન થયા હતા.
ઉપરોક્ત બાબતોથી પરેશાન થઈને દેવસિંહ જાડેજાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતો અંગે તેમણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરીને આ પગલું ભર્યું હતું. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.