નવી દિલ્હીઃ દેવાના બોજા હેઠળ દટાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા બીજા ક્વાર્ટરમાં ભારતની સૌથી વધુ ખોટ કરતી કંપની બની ગઈ છે. તેણે સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 7,562.28 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે. જ્યારે પેટીએમની માલિક કંપની વન97 કમ્યુનિકેશન્સે બીજા ક્વાર્ટરમાં 588.8 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે. પેટીએમનો શેર તેની બાવન સપ્તાહની ટોચથી 75 ટકા નીચે ઉતરી ગયો છે.
સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરના અંતે સૌથી વધારે ખોટ કરતી ટોચની દસ કંપનીઓમાં એચપીસીએલ, સ્પાઇસજેટ અને પેટીએમ સામેલ છે. અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે લિસ્ટેડ કંપનીઓ કે જેમણે તેમના પરિણામો જાહેર કર્યા છે. તેમા 1,100થી પણ વધારે કંપનીઓ ખોટ કરી રહી છે. આ કંપનીઓના શેર પણ તેમની ટોચથી સરેરાશ 36 ટકા જેટલા નીચે છે.
ખોટ કરતી કંપનીઓની યાદીમાં બે એરલાઇન્સ, ઇન્ટરગ્લોબ એવિયેશન અને સ્પાઇસજેટનો પણ સમાવેશ થાય છે. તેણે અનુક્રમે 1,585.49 કરો અને 837.88 કરોડની ખોટ નોંધાવી હતી. ઓએનજીસીની પેટા કંપની પીએસયુ કંપની મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સને સરકાર દ્વારા લાદવામાં આવેલા વિન્ડફોલ ટેક્સના લીધે બીજા ક્વાર્ટરમાં 1,789.14 કરોડની ખોટ થઈ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મંદીની આગાહીઓ થઈ રહી છે અને અમેરિકન ટેકનોલોજી કંપનીઓ છટણી કરી રહી છે. તેની અસર ઓછાવત્તા અંશે ભારત પર પણ પડી રહી છે. આ સંજોગોમાં ભારતીય કંપનીઓ પોતાના ખર્ચ પર અંકુશ રાખવા માટે અનેક પગલાં લઈ રહી છે. તેમા કામગીરીના વૈવિધ્યીકરણની સાથે મૂડી એકત્રિત કરવાના રાઉન્ડ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ તથા હિસ્સા વેચાણ વગેરેનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો