અમદાવાદ: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની ગઈ છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહેશે. આ વરસાદી સિસ્ટમ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ
ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્રને એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવા માટેના આદેશો કરવામાં આવ્યા છે. કોઈ આફતના સમયે તત્કાલ મદદ મળી રહે તે માટે એનડીઆરએફની ટીમને સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાશે તો વધારે મદદ પણ માંગવામાં આવશે. હાલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે.
દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. તો વાપી, વલસાડ અને ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હજી પણ વરસાદ ચાલુ જ રહેશે તો વહીવટી તંત્ર દ્વારા શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી શકે છે.