ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુરુવારે મોડી સાંજે મળેલી સોમનાથ ટ્રસ્ટના હોદ્દેદારોની બેઠકમાં પ્રમુખ તરીકે ફરી એક વખત રાજ્યના પૂર્વ CM કેશુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
ગુરુવારે સાંજે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ, તેમજ અન્ય ટ્રસ્ટીઓ અમિત શાહ, એલ. કે અડવાણી અને પી. કે. લહેરીની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોમનાથ મંદિરનાં વિકાસની વિવિધ યોજનાઓ તેમજ વહીવટી કામગીરી લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક મળી હતી ત્યારે સૌથી મહત્વની બાબત છે કે, સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ફરી એક વખત વરણી કરવામાં આવી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ વચ્ચે થયેલી વાતચીત બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવ્યાં હતાં. જેનાં અંતર્ગત તેઓ પહેલાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેનાં કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી.
જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ.કે.અડવાણી અને પ્રવીણ કે. લહેરી સહિતનાં ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરીથી કેશુભાઈ પટેલની વરણી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોમનાથ મંદિરને લગતા અન્ય વહીવટી તેમજ વિકાસલક્ષી કાર્યોને બહાલી આપવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.