ગાંધીનગરઃ ગોધરા બાદના કોમી રમખાણોના કેસમાં કોર્ટે તમામ 28 આરોપીઓને પુરાવાના અભાવમાં છોડી મુકવામાં આવ્યા છે. નિર્દોષ છોડી મુકાલેયાલ આરોપીઓમાં કલોલ નાગરીક સહકારી બેન્કના વર્તમાન ચેરમેન ગોવિંદ પટેલનો પણ સમાવેશ થાય છે. તમામ આરોપી લાંબા સમયથી જામીન પર છુટેલા છે.
આ 28 જણ સામે 2002ની 28 ફેબ્રુઆરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાળિયાદ ગામમાં આગ લગાડવા, રમખાણો કરવા અને લઘુમતી કોમની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. તે ઘટનાઓ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાની ઘટનાના બીજા દિવસે બની હતી.
ઉક્ત આરોપીઓ સામે સંપત્તિને નુકસાન પહોંચાડવા ઉપરાંત પાળિયાદ ગામમાં એક દરગાહના એક ભાગને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ હતો. એવો આરોપ હતો કે પોલીસે એફઆઈઆરમાં દર્શાવેલા 28 આપોપીઓ સહિત ગામના આશરે 250 જેટલા લોકોનાં ટોળાએ દરગાહ પર હુમલો કર્યો હતો.
ગઈ 31 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવતી વખતે કલોલના એડિશનલ જિલ્લા જજ બી.ડી. પટેલે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે આરોપીઓ સામે પર્યાપ્ત પુરાવા મોજૂદ નથી, કારણ કે તમામ સાક્ષીઓ એમની જુબાનીમાં ફરી ગયા છે.