અમદાવાદ: રાજ્યના ફિશરીઝ કૌભાંડના મામલે ગુજરાત હાઈકોર્ટે BJP સરકારના એક મંત્રી સહીત 2 દિગ્ગજ નેતાને ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ભાજપ સરકારના પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી દિલીપ સંઘાણી અને વર્તમાન મંત્રી પરષોત્તમ સોલંકીને બે સપ્તાહમાં કોર્ટમાં હાજર થવા માટેનો આદેશ કર્યો છે.
રાજ્યમાં કરોડો રૂપિયાનાં તળાવના ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર કોંન્ટ્રાક્ટરોને આપી દેવાના મામલે BJP ના બન્ને તત્કાલિન મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીઓ પર કેસ ચાલી રહ્યો છે. જેને લઈને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલીક ધોરણે ફગાવી દઈને હાઈકોર્ટ દ્વારા બન્ને તત્કાલિન મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીઓને બે સપ્તાહમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
400 કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં તત્કાલિન મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી પરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઈ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ કરતી અરજીને હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જેને રદ્દ કરાવવા માટેની માંગણી કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે BJP ના પુરષોત્તમ સોલંકી સામે રૂપિયા 400 કરોડનાં ફિશરીઝ કૌભાંડના મામલે કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રિપોર્ટનાં આધારે BJP ના તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી દિલીપ સંઘાણી અને પરષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા.