જુનાગઢ
ચેક રિટર્ન થવાના એક કેસમાં જુનાગઢની એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે.આરોપીએ ઇન્ડ્સઇન્ડ બેંક પાસેથી વાહનલોન લીધા બાદ તેના હપ્તાના ચેક બાઉન્સ થતાં આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.કોર્ટે ચેક આપીને રકમ પરત નહીં કરનાર આરોપીને દોષિત માનીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.
વિગતે જઇતો વેરાવળમાં રહેતાં 35 વર્ષના ભરતભાઇ વ્યાસે રાજકોટની ઇન્ડ્સઇન્ડ બેંકમાંથી અતુલ જેમીની નામનું વાહન ખરીદવા માટે 1,35,000 રૂપિયાની લોન લીધી હતી.આ લોનના હપ્તાના માસિક 5,800 રૂપિયાના ચેકો એડવાન્સ પેટે ભરત વ્યાસે ઇન્ડ્સઇન્ડ બેંકને આપ્યા હતા.
જો કે એ પછી ભરત વ્યાસે કોઇ કારણોસર આ હપ્તા ભરવાના બંધ કરતાં બેંકે અગાઉ થયેલ કરાર મુજબ પેનલ્ટી ચડાવવાનું શરૂ કર્યું હતું.ભરતભાઇએ હપ્તા અને પેનલ્ટી પેટે વેરાવળની બેંક ઓફ ઇન્ડિયાનો 1,26,000 રૂપિયાનો ચેક આપ્યો હતો.
જો કે આ ચેક અપુરતું બેંક બેલેન્સ હોવાને કારણે રીટર્ન ગયો હતો.ચેક રિટર્ન થવા અંગે બેંકે ભરતભાઇને નોટિસથી જાણ કરી હતી પરંતું તેમનો પૈસા આપવાનો ઇરાદો નહીં લાગતાં આખરે બેંકે જુનાગઢની કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 પ્રમાણે કેસ દાખલ કર્યો હતો.
જોવાની વાત એ પણ હતી કે કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે આરોપી ભરતભાઇ હાજર રહેતા નહોતા.કોર્ટમાં તેઓ પોતાનો પક્ષ રજુ નહોતા કરી શક્યા.
કોર્ટે આરોપીની સતત ગેરહાજરી અને તેના ખાતામાં અપુરતું નાણાં ભંડોળ હોવાને કારણે તેને દોષિત માન્યો હતો.જુનાગઢના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મિતેશચંદ્ર પટેલે આરોપી ભરત વ્યાસને 2 વર્ષની કેદની સજા અને તેની પાસેથી 2,52,000 રૂપિયાની રકમ વસુલ કરવા આદેશ કર્યો હતો.