ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં કોરોના કેસનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે કોરોનાને રાજકીય એરંગ ચઢ્યો હોય તેમ મોટી સંખ્યામાં નેતાઓ કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે. સ્થાનિક નેતાઓ ની સાથે હવે હાલમાં ચાલી રહેલી ગુજરાત વિધાનસભામાં બેસતા MLA પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બન્યા છે. જેને લઈને ગૃહમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હાલમાં ચાલી રહેલી વિધાનસભામાં ગુજરાત વિધાનસભાના 6 જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા શરુ થતા પહેલા જ દરેક mla અને પત્રકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને નેગેટીવ રીપોર્ટ સાથેજ ગૃહમાં એન્ટ્રી આપવામાં આવી હતી.
છતાય આજે ગૃહમાં 6 જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી કે સવારે ગૃહમાં હાજર હતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ અન્ય સાથી ધારાસભ્યોમાં ફફડાટનું મોજું ફરી વળ્યું છે. વિધાનસભા અધ્યક્ષે પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ જાહેરાત પણ કરી હતી કે, નૌશાદ સોલંકીના સંપર્ક માં આવેલા સૌ ટેસ્ટ કરાવે.
વિધાનસભા ગૃહમાં કુલ ૬ ધારાસભ્યને કોરોના ડીટેક્ટ થયો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પુજા વંશ, જે પણ સવારે ગૃહમાં હાજર હતા.
સૌથી પહેલા પોઝિટિવ થયેલા મંત્રી ઇશ્વર પટેલ, દસક્રોઇ ના બાબુભાઇ પટેલ, શૈલેષ મહેતા અને મોહન ઢોડિયા સારવાર હેઠળ છે. તો ધારાસભ્ય વિજય પટેલ કોરોના સંક્રમિત બન્યા છે.
વિધાનસભા અધ્યક્ષની તાકીદ
વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો વિધાનસભા અધ્યક્ષએ જણાવ્યું છે હવેથી વિધાનસભા પરિસરમાં બહારથી કોઈ વ્યક્તિને પ્રવેશ નહિ મળે. મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોઈ જાણીતાને સાથે ન લાવે. હવેથી ગૃહમાં પ્રવેશવાના તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. તો સાથે ધારાસભ્યો ને માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાના કહેરને કારણે વિધાનસભા સત્ર વહેલું આટોપી લેવામાં આવ્યું હતું.