પાલનપુર
પાટણમાં થયેલા આત્મવિલોપનની ઘટનાની શાહી સુકાઇને થોડોક જ સમય થયો છે. ત્યાં પાલનપુરમાં એક યુવકે આત્મવિલોપન ચિમકી ઉચ્ચારતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ યુવકની આત્મવિલોપનની ચીમકીને લઇને તંત્ર સતર્ક થઇ ગયું હતું અને કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આ યુવકે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લેખિતમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. આત્મવિલોપનની ચીમકી આપનાર આ યુવક પાટીદાર છે. જેનું નામ બ્રિજેશ પટેલ છે.
આ યુવકની મુખ્ય માંગણી એ છે કે દોષીઓને સજા મળે અને મૃતક લોકોના પરિવારને વળતર મળે. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં 2 પાટીદાર યુવકોના મોત નિપજ્યા હતા.
જેને લઇને આ યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીને યુવકના પરિવારજનોને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરી હતી. હાલ તો પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરી લેવામાં આવી છે. જેના વિરોધમાં પાટીદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેને લઇને પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
