બનાસકાંઠા,
બનાસકાંઠાના કાંકરેજમાં રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. એક તરફ સરકાર લોકોને વધુ સારી સારવાર મળે તે માટે હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ હોસ્પિટલમાં સ્ટાફ તથા તબીબો પોતાની મનમાનીથી જ નોકરી કરે છે.
કાંકરેજની રેફરલ હોસ્પિટલમાં એક દર્દીને રાત્રે 2 વાગ્યે લાવવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં આવીને જોતા દર્દીના સંબંધી પણ ચિંતામાં આવી ગયા. કારણ કે હોસ્પિટલમાં સારવાર માટે કોઈ કર્મચારી હાજર જ નહોતા અને તેને કારણે દર્દીને હોસ્પિટલના હોલમાં જમીન પર નીચે જ સુવડાવવામાં આવ્યો.
ત્યારે દર્દીને હોલમાં સુવડાવ્યો હોવાની ઘટના અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને લઈને હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ખુલ્લી પડી ગઈ છે. તો બીજી તરફ લોકોનું એવું પણ કહેવું છે કે હોસ્પિટલના જે ડોક્ટરો છે તે દર્દીઓને બહારની એક જ ખાનગી મેડિકલમાંથી દવા લાવવા દબાણ કરે છે અને જો બીજી કોઈ મેડિકલમાંથી દવા લાવવામાં આવે તો એ દવા નથી ચલાવવામાં આવતી. ત્યારે આ અંગે ડોક્ટરો અને મેડિકલના માલિકોની મીલીભગત હોવાની પણ આશંકા જાય તે સ્વાભાવિક છે.