અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. આ સંજોગોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે ત્યારે સૌની મીટ તેમની તરફ મંડાયેલી છે કે “અમિત શાહ શું નિતીન પટેલની નારાજગીને દૂર કરવા માટે આવ્યા છે કે પછી તેમને ‘કટ ટુ સાઈઝ’ કરવા માટે આવ્યા છે.” જો નિતીન પટેલને કટ ટુ સાઈઝ કરવામાં આવે તો ભાજપમાં ભડકો થાય તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છેલ્લા કેટલાક સમયથી સરકાર અને પક્ષમાં પોતાની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું જોઈ રહ્યા છે. જેના કારણે નીતિનભાઈ છેલ્લા દોઢેક મહિનાથી કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા નથી. એટલું જ નહીં તાજેતરમાં એક કાર્યક્રમમાં સંચાલકો દ્વારા નિતીન ભાઈને બોલવાનું કહેતા તેઓ નારાજ થઈ ગયા હતા અને એવું પણ કહ્યું હતું કે, સાહેબ (મુખ્યમંત્રી)ને બોલવા દો. આ બાબત ઉપરથી એવું માનવામાં આવી રહ્યું છે કે નિતીન પટેલ સરકાર અને પક્ષથી નારાજ હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
આટલું ઓછું હોય તેમ નિતીન પટેલની સરકારમાં થઈ રહેલી ઉપેક્ષાને લઈને તેઓ રાજીનામું આપી દેવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ચર્ચા કોના દ્વારા ફેલાવવામાં આવી છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. પરંતુ આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટ્વીટ કરીને ખુલાસો કરવો પડ્યો છે અથવા ટો ખુલાસો કરવાની ફરજ પડી છે તે બાબત પણ ચર્ચાનો વિષય છે.
આ દરમિયાનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમિત શાહની નિતીન પટેલની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે કેમ? તેની સામે સૌની મીટ મંડાઈ રહી છે.
ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી નિતીન પટેલ નારાજ હોવાની વાત ચાલી રહી છે. ત્યારે એ સવાલ ઉપસ્થિત થાય છે કે, નિતીન પટેલ જ શા માટે ભાજપ અને સરકારથી નારાજ થાય છે. ગુજરાત ભાજપના સિનિયર નેતા અને સરકારના સિનિયર મંત્રી નિતીન પટેલની નારાજગી એ સંજોગો છે કે પછી કોઈ ષડ્યંત્ર છે?
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા છે. ત્યારે સૌના મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે, શું અમિત શાહ નાયબ મુખ્યમંત્રીની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરશે કે પછી નિતીન પટેલને કટ ટુ સાઈઝ કરી દેવામાં આવશે.
પક્ષના એક જૂથનું માનવું છે કે, અમિત શાહ દ્વારા નિતીન પટેલની નારાજગીને દૂર કરવા માટે તેમને મનાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે પરંતુ બીજું જૂથ એવું માની રહ્યું છે કે, અમિત શાહ તેમને મનાવવા માટે આવ્યા છે પણ નારાજગી દૂર કરવા માટે નહીં, પરંતુ તેમને રાજીનામું અપાવવા માટે આવ્યા છે.
અમિત શાહ આવે તે અગાઉ નિતીન પટેલને રાજીનામું આપવા માટે સમજાવવા માટે ભાજપ સરકારના એક ઊંચા કદના મંત્રીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે નિતીન પટેલ ખુદ જ અમિત શાહની હાજરીમાં પોતાના રાજીનામાં અંગેની જાહેરાત કરે તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. જો કે નિતીન પટેલ આમ કરવા માટે તૈયાર નથી.
જો આમ છતાં ભાજપ દ્વારા નીતિનભાઈ પાસે આવો નિર્ણય કરાવવામાં આવે તો તેઓ ભાજપને છોડી શકે તેવી સંભાવના છે. એટલું જ નહીં જો નીતિનભાઈ ભાજપ છોડે તો તેઓ તા. ૨૬મી મેને આવતીકાલે ધ્રાંગધ્રાના મોટી માલવણ ખાતે હાર્દિક પટેલ દ્વારા આયોજિત પાટીદાર મહાપંચાયતના કાર્યક્રમમાં જઈ શકે છે. જો કે આ અંગે કોઈના તરફથી જાહેરાત કરવામાં આવી નથી.