દિલ્હી,
કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતાં ખુદ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ તેમની પર રોષે ભરાયા હતા. મણીશંકર ઐયરે મીડીયા સાથે વાત કરતાં પીએમ મોદીને ઉદેશીને કહ્યું કે, યહ આદમી બહુત નીચ કિસમ કા હૈ..ઇસમે કોઇ સભ્યતા નહીં..
પીએમ મોદીને નીચ કહેવા બદલ મણીશંકર ઐયરને કોંગ્રેસ પાર્ટીએ સસપેન્ડ કર્યા છે.કોંગ્રેસ પક્ષે મણીશંકર ઐયરને શો-કોઝ નોટિસ પણ ફટકારીને આવું બેફામ નિવેદન કરવા પાછળનું કારણ જાણવા માંગ્યું છે.
મણીશંકરે પીએમ મોદી માટે આવો શબ્દપ્રયોગ કરતાં રાજનીતિ ગરમાઇ હતી. ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ મણીશંકરના આ નિવેદનને મુદ્દો બનાવીને કહ્યું હતું કે ‘ગુજરાત આનો જવાબ’ આપશે.
જો કે મણીશંકરના આ નિવેદન પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ માટે મણીશંકરે જે પ્રકારની ભાષા વાપરી છે તેની હું બિલકુલ કદર કરતો નથી. તેઓ(મણીશંકર) જે બોલ્યા છે તે માટે કોંગ્રેસ અને હું બંન્ને તે માફી માંગે તેવી અપેક્ષા રાખીએ છીએ.
મણીશંકર ઐયરે કહ્યું હતું કે નીચ શબ્દ વાપરવા પાછળ મારો ઉદેશ પીએમની જાતિ અંગે ટીપ્પણી કરવાનો નહોતો.પરંતું જો તેને જો જાતિ માટે લેવાતો હોય તો હું માફી માંગું છું. હું કોંગ્રેસનો સામાન્ય કાર્યકર છું. ગુજરાતમાં ઇલેક્શન કેમ્પેઇન માટે મને કહેવામાં પણ નથી આવ્યું.
ઉલ્લેખનીય છે કે 2014ના લોકસભાના ઇલેક્શનમાં પણ મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ‘ચાવાળો’ કહીને એવું નિવેદન આપ્યું હતું કે તે કદી દેશના વડાપ્રધાન નહીં બની શકે.
મણીશંકરે નરેન્દ્ર મોદી માટે જે ભાષા વાપરી હતી તે માટે સોશિયલ મીડીયામાં પણ તેમની ભારે ખીંચાઇ થઇ હતી.અનેક લોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે મણીશંકરે જાણી જોઇને આવું નિવેદન આપ્યું છે જેથી ગુજરાતમાં કોંગ્રેસની હાર થાય.