કચ્છ,
પૂર્વ કચ્છમાં ગુનેગારોને કાયદાનો ખોફ ન હોય તેમ સતત ક્રાઈમ રેશિયો વધી રહ્યો છે. આદિપુરમાં બેંક કેશવાન પર ફાયરીંગ સાથે થયેલી 34 લાખની લુંટની ઘટનાના ભેદ હજી ઉકેલાયા નથી ત્યાં અંજારના મેઘપર બોરીચી નજીક જુમ્મા ફાટક પાસે 16 લાખની દિલધડક લૂંટ થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.
અંજારના મીઠોરોહર નજીકના અંબીકા પેટ્રોલપંપના બે કર્મચારી હરિશંકર જયનારાયણ શર્મા અને રજત વાનખેડે બાઇક પર 16 લાખ ભરેલી બેગ સાથે જઇ રહ્યા હતા ત્યારે જ અંજારના જુમ્મા ફાટક નજીક ત્રણ બુકાનીધારી બાઇક સવારોએ તેમની આંખમાં મરચાની ભુકી નાખી હતી અને ત્યારબાદ છરી વડે ઉપરાઉપરી હુમલો કરી ત્રણ બાઇક સવારો 16 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાજ પુર્વ કચ્છ એલ.સી.બી સહિતની મહત્વની બ્રાન્ચ અને અંજાર પોલિસ સહિત પુર્વ કચ્છના ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને બનાવની તપાસ શરૂ કરી હતી.
ઇજાગ્રસ્તોને રામબાગ હોસ્પિટલમા ખસેડાયા હતા બીજી તરફ પોલીસે મહત્વના સ્થળો પર નાકાબંધી કરી વાહનચેકીંગ સાથે ગુન્હેગારનુ પગેરુ દબાબવવા કવાયત હાથ ધરી છે. ઘટના પાછળ જાણેભેદુનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.