સુરત જીલ્લાના માંડવી તાલુકાના હરિયાલ ગામે ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ટ્રકે અવરટેક કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષાને અડફેટે લેતા જાનહાની સર્જાઈ હતી. અકસ્માત થતાં ટ્રક રોડની બાજુમાં આવેલી ખાડીમાં ખાબક્યો હતો. ખાડામાં ફસાયેલા ટ્રકને જેસીબીની મદદથી બહાર કઢાયો હતો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. માંડવી-કીમ રાજ્ય ધોરી માર્ગ ઉપર થયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં તડકેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થળ ઉપર પહોંચીને પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથધરી હતી.